મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના નીમસરાય ગામમાં શનિવારે 6 દુર્લભ હરણના મૃતદેહ મળવાથી હડકંપ મચી ગયો હતો.
મધ્ય પ્રદેશમાં કાળીયાર હરણની હત્યા
પાણીમાં ઝેર આપીને 6 હરણ મારી નાખ્યા
હરણના શિંગડા અને અંગો કાપીને લઈ ગયા
મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના નીમસરાય ગામમાં શનિવારે 6 દુર્લભ હરણના મૃતદેહ મળવાથી હડકંપ મચી ગયો હતો. વન વિભાગના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા તો, ચોંકી ઉઠ્યા હતા. મૃતદેહો જોયા બાદ અધિકારીઓને શંકા છે કે, તેમને પાણીમાં ઝેર આપીને મારી નાખવામાં આવ્યા છે.શિકારીઓ હરણાના શિંગડા અને અન્ય અંગો કાપીને લઈ ગયા હતા. વન વિભાગે જણાવ્યું હતું કે, મરેલા હરણમાં ત્રણ નર અને ત્રણ માદા હતી.
વન વિભાગે તપાસ હાથ ધરી
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ ઘટનાની તપાસ માટે વિભાગે ડોગ સ્કવોડને લઈને તપાસ આદરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચ્ચુ કારણ જાણવા મળશે. આ ગામના એક શખ્સે સૌથી પહેલા આ મરેલા હરણ જોયા હતા. આ શબ તેના ખેતરમાં મરેલા જોવા મળ્યા હતા. તેણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી અને અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા.
આજૂબાજૂના ખેતરોમાં પણ તપાસ હાથ ધરી
તપાસ દરમિયાન વન કર્મચારીઓએ આસપાસના ખેતરોમાં અલગ-અલગ જગ્યાએ હરણના મૃતદેહ જોયા હતા. તે દરમિયાન બે હરણ હજી જીવતા હતા. જો કે, બંનેના થોડા જ સમયમાં મોત નિપજ્યા હતા. જણાવી દઈએ કે, વન વિભાગ ઉપરાંત પશુપાલન વિભાગના ડોક્ટરો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે હરણના મૃતદેહની તપાસ કરી અને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા. દરમિયાન, વન વિભાગની ડોગ સ્કવોડ પણ શનિવારે મોડી સાંજે નર્મદાપુરમ વિભાગમાંથી નીમસરાઈ ગામમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
ગ્રામજનોએ તપાસની માંગ કરી છે
બીજી તરફ કાળિયારના મોતના સમાચાર વાયુવેગે ફેલાતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગ્રામજનોએ ત્યાં પોતાનો રોષ દર્શાવ્યો અને કહ્યું કે વન વિભાગ આવા શિકાર અંગે કોઈ નક્કર પગલાં લેતું નથી. ખેડૂત ઓમપ્રકાશે કહ્યું કે, તેણે સૌપ્રથમ હરણનું શબ જોયું હતું. 2020માં પણ તેમના ખેતરમાં હરણનો શિકાર કરવામાં આવ્યો હતો. ત્યારે શિકારીએ બંદૂકથી હરણનો શિકાર કર્યો હતો. તેને ગ્રામજનોએ સ્થળ પર જ પકડી લીધો હતો. હરણનું રક્ષણ કરતા અવધ વિશ્નોઈએ જણાવ્યું કે તેમના સમાજમાં હરણને પૂજનીય માનવામાં આવે છે. આથી વિશ્નોઈ સમાજ આ સમગ્ર ઘટનાની તપાસની માંગ કરે છે અને દોષિતોને કડકમાં કડક સજા કરવાની માંગ કરે છે.