કોરોના મહામારીની વચ્ચે દેશમાં બ્લેક ફંગસના કેસ સતત વધી રહ્યા છે. 20 હજાર દર્દીની સામે 10 ટકા ઈન્જેક્શન્સ પણ મળી રહ્યા નથી જે ચિંતાનો વિષય છે.
દેશના 26 રાજયોમાં બ્લેક ફંગસનો પગપેસારો
20 હજાર દર્દીઓ લઈ રહ્યા છે સારવાર
કુલ માંગના 10 ટકા ઈન્જેક્શન્સ પણ મળી રહ્યા નથી
દેશમાં કોરોના મહામારી બાદ બ્લેક ફંગસ 26 રાજ્યોમાં દસ્તક દઈ ચૂકી છે. આ દર્દીઓ માટે કેન્દ્ર સરકારે એમ્ફોટેરિસિન- બી ઇન્જેક્શનની 30100 વોયલ મંગાવ્યા હતા. તે કુલ માંગના 10 ટકા પણ નથી. કેન્દ્રીય રસાયણ અને ઉર્વરક મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશો માટે 30100 ઈન્જેક્શનની વ્યવસ્થા કરાઈ છે. દેશમાં જે 20000 દર્દી છે તેમને માટે રોજના 30 હજાર ઈન્જેક્શનની જરૂર છે. એક દિવસમાં 2 વાર આ ઈન્જેક્શન આપવાનું રહે છે. આ અનેક કેસમાં 6 અઠવાડિયા સુધી આપવાની જરૂર રહે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અંડમાન નિકોબાર, અરુણાચલ પ્રદેશ, દાદરા નગર હવેલી, લદ્દાખ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ અને નાગાલેન્ડ સિવાય અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફંગસના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. દેશમાં હજુ એક લાખ ઈન્જેક્શનની ઉત્પાદન ક્ષમતા છે.
7 રાજ્યોમાં સૌથી વધુ દર્દીઓ
સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે ફંગસના દર્દીઓ જોવા મળી રહ્યા છે. આ કારણે અહીં વધારે દવા પહોંચાડવામાં આવી રહી છે. આ સિવાય કેન્દ્ર સરકારની હોસ્પિટલમાં પણ અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ માટે સરકારે આ હોસ્પિટલમાં એડમિટ દર્દીને માટે 1260 વાયલ અલગ રાખ્યા છે.
સોશ્યલ મીડિયા પર છલકાયું ડોક્ટર્સનું દર્દ
બ્લેક ફંગસથી દર્દ સહન કરી રહેલા દર્દીઓને સમય સર દવા અને ઈન્જેક્શન ન મળવાથી ડોક્ટરની હિંમત પણ જવાબ આપી રહી છે. તેમનું કહેવું છે કે દર્દીને ઓપરેશન બાદ પણ બચાવી શકાતા નથી. સમય સર દવા ન મળવાના કારણે અને ફંગસ પહેલાથી ફેલાઈ જવાના કારણે દર્દીનો જીવ બચાવવાનું મુશ્કેલ બની રહ્યું છે. શરૂઆતના લક્ષણ સાથે આવેલા દર્દીને દવા ન મળવાના કારણે પહેલાથી થયેલા ઈન્ફેક્શનમાં વધારો થાય છે અને તેનો જીવ જોખમમાં મૂકાઈ જાય છે. આ કારણ છે કે દેશમાં મૃત્યુ દર સતત વધી રહ્યો છે. એક ડોક્ટરે કહ્યું છે કે હોસ્પિટલમાં બ્લેક ફંગસના 368 કેસમાંથી 55ના મગજ સુધી સંક્રમણ પહોંચ્યું હતું. આ રેશિયો 15 ટકાનો જોવા મળી રહ્યો છે. સીટી, એમઆરઆઈ સ્કેનની મદદથી તેને ઓળખી શકાય છે.
રાજ્યોની પાસે હજુ પણ 1.75 કરોડ ડોઝ
કોરોના મહામારીની સામે લડવા માટે સરકાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અત્યાર સુધીમાં 23 કરોડથી વધારે ડોઝ આપી ચૂકી છે. મંત્રાલયના અનુસાર તેમાંથી 21,22,38,652 ડોઝનો ઉપયોગ કરાયો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પાસે હજુ પણ 1,75,48,648 ડોઝ છે. આવનારા 3 દિવસમાં રાજ્યોને 2,73,970 ડોઝ આપી દેવામાં આવશે.