દેશમાં કોરોના સંક્રમણ બાદ બ્લેક ફંગસની બીમારી માથું ઉંચકી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં તેના 7000 કેસ સામે આવ્યા છે અને 200 લોકો જીવ ખોવી ચૂક્યા છે.
દેશમાં વધી રહી છે બ્લેક ફંગસની બીમારી
દેશમાં બ્લેક ફંગસના કેસની સંખ્યા 7000 થઈ
દેશમાં આ બીમારીથી 200 લોકોના થયા મોત
કોરોના વાયરસની બીજી લહેર નબળી પડી છે ત્યારે બ્લેક ફંગસની બીમારી કોરોના દર્દીને માટે ઘાતક બની રહી છે. દેશમાં અત્યાર સુધીમાં તેના 7000 કેસ સામે આવ્યા છે અને 200 લોકો જીવ ખોવી ચૂક્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે બ્લેક ફંગસને Epidemic Diseases Act ના આધારે નોટિફાઈ કરવામાં આવે.
કયા રાજ્યોએ જાહેર કરી મહામારી
દિલ્હી સરકાર પણ બ્લૅક ફંગસના વધતા કેસોને લઈને ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. સીએમ કેજરીવાલે પણ કહ્યું છે કે જો રાજ્યમાં હાલત બગડશે તો બ્લૅક ફંગસને મહામારી જાહેર કરીશું. હાલમાં દિલ્હીમાં લગભગ 200 કેસ સામે આવી ચૂક્યાં છે. યુપી, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, તેલંગણા, તમિલનાડુ, ચંડીગઢમાં આ બીમારીને મહામારી જાહેર કરી દેવાઈ છે.
બાળકોમાં પણ જોવા મળી રહી છે બીમારી
ગુજરાતમાં અમદાવાદમાં 15 વર્ષના બાળકમાં બ્લેક ફંગસ (મ્યુકર્માઈકોસીસ) નો કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. 15 વર્ષના બાળકમાં બ્લેક ફંગસનો આ પ્રથમ કિસ્સો અમદાવાદમાં નોંધાયો છે. બાળક આ પહેલા કોરોના પોઝિટિવ થઈ ચૂક્યો હતો. કોરોના સંકટની વચ્ચે બ્લૅક ફંગસ એક નવી સમસ્યા સ્વરૂપે ઝડપથી ફેલાઈ રહી છે અને લોકોની ચિંતામાં વધારો થયો છે. મોટી ઉંમરના લોકો બાદ હવે બ્લૅક ફંગસ બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે.
સૌથી વધારે કેસ અને મોત મહારાષ્ટ્રમાં, બીજા નંબરે ગુજરાત અને ત્રીજા નંબરે મધ્યપ્રદેશ
આ બીમારીના કુલ 7250 કેસ આવ્યા છે અને સૌથી વધુ કેસ અને મોત મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ પછી ગુજરાત અને મધ્યપ્રદેશનો નંબર છે. ગુજરાતમાં બ્લેક ફંગસના 1163 કેસ અને 63 મોત નોંધાયા છે. એમપીમાં 575 કેસ અને 31 મોતની પુષ્ટિ થઈ છે.
બ્લેક ફંગસને લઈને રણદીપ ગુલેરિયાએ આપ્યું નિવેદન
બ્લેક ફંગસને લઈને તેમનું કહેવું છે કે મ્યુકરમાઈકોસિસના જીવાણુ હવા, માટી અને ભોજનમાં મળી રહ્યા છે. તેનો પ્રભાવ ઓછો હોય છે અને તે સંક્રમણ ફેલાવતા નથી. મહામારીની સાથે તેના કેસ ઘટી રહ્યા છે. તેઓએ અગાઉ સ્ટીરોઈડના ઉપયોગને આ બીમારીનું કારણ ગણાવ્યું હતું. સ્ટીરોઈડનો ખોટો ઉપયોગ આ બીમારીના સંક્રમણનું કારણ છે બ્લેક ફંગસની શક્યતા ડાયાબિટિસના પેશન્ટ અને કોરોના પોઝિટિવ પેશન્ટ જે સ્ટીરોઈડ લઈ રહ્યા છે તેમને વધારે રહે છે.