ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકૈતે શુક્રવારે કહ્યું હતું કે દેશમાં કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલું આંદોલન હવે અનિશ્ચિતકાળ સુધી ચાલશે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ચેતવણી
મોદી સરકારને કહ્યું, અનિશ્ચિતકાળ સુધી ચાલી શકે છે આંદોલન
સંસદમાં ખેડૂતોના મુદ્દે થવી જોઈએ ચર્ચા
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જો કે 2 ઓકટોબર સુધી આંદોલન ચલાવવાના પોતાના જ નિવેદન પરથી યુટર્ન લઈ લીધો છે અને ખેડૂત સંગઠનોની નારાજગી પછી ટિકૈતે કહ્યું હતું કે કૃષિ કાયદાઓ પરત ખેંચાઇ જાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, તેમણે વધુમાં કહ્યું હતું કે અમે પંચાયત પ્રણાલીમાં માનવા વાળા લોકો છીએ અને નિર્ણયોની વચ્ચે અમે ન તો પંચ બદલીએ છીએ ન તો મંચ બદલીએ છીએ.
આંદોલનને રોકવા માટેની કોઈ જ યોજના નથી
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આજે નિવેદનમાં કહ્યું હતું કે હવે આ આંદોલન અનિશ્ચિતકાળ સુધી ચાલશે કેમ કે હવે આને રોકવા માટેની કોઈ વિશેષ યોજના નથી, માટે હવે આ આંદોલન લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. બને તો ઓકટોબર સુધી પણ ચાલી શકે છે.
હા, ઓકટોબર સુધી ચાલી શકે છે આંદોલન : ટિકૈત
તેમણે સંયુક્ત કિસાન મોરચાના નેતા ગુરનમસિંહ ચધુનીના નિવેદનના જવાબમાં કહ્યું કે, ખેડૂતોનો વિરોધ ઓક્ટોબર સુધી ચાલુ રાખી શકાય તેમ છે. ખેડૂત નેતા રાકેશ ટીકૈતે અગાઉ પણ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી સરકાર ત્રણ નવા કૃષિ કાયદા પાછા નહીં લે ત્યાં સુધી આંદોલન સમાપ્ત નહીં થાય અને ઓક્ટોબર સુધી તે ચાલુ રાખી શકે છે.
શુક્રવારે તેમણે ઉલ્લેખ કર્યો છે કે દર વર્ષે 2 ઓક્ટોબરે ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો વિરોધ કરે છે. તેમણે કહ્યું, "2 ઓક્ટોબર, 2018 ના રોજ ગાઝીપુર બોર્ડર પર ખેડૂતો પર અશ્રુ ગેસ અને ગોળીઓ દાગવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે અમે ગાઝીપુર બોર્ડર પર એક કાર્યક્રમ કરીએ છીએ અને આ વર્ષે તે કરીશું."
સંસદમાં થવી જોઈએ ચર્ચા
ખેડૂતોના મુદ્દા પર સંસદમાં થયેલી ચર્ચા અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે, ટિકૈતે કહ્યું કે તે સારું છે કે આ મુદ્દો સંસદમાં ઉઠાવવો જોઇએ અને તેના પર ચર્ચા થવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, ખરેખર તે ચર્ચાનો વિષય હોવો જોઇએ કે દેશના ખેડૂતો ઘણા લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે.
આ સવાલ પૂછતાં ટિકૈતે કહ્યું, "દેશભરના ખેડૂતો રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે, તેની પાછળનું કોઈ કારણ હોવું જોઈએ. જો કૃષિ કાયદા ખેડૂતો દ્વારા સ્વીકારવામાં ન આવે તો તેમને પાછા ખેંચવાની ફરજ શું છે?" તેમણે રાહુલ ગાંધીની ચાર લોકો દ્વારા દેશ ચલાવવાની ટીકા સાથે સહમતિ વ્યક્ત કરી હતી, અને કહ્યું હતું કે અમારું પણ એમ જ માનવું છે કે માત્ર ચાર લોકો જ દેશ ચલાવી રહ્યા છે.