ખેડૂત નેતાઓએ એવી ચેતવણી આપી છે કે તેઓ ગુજરાતમાં થનારી પેટાચૂંટણી પહેલા ત્યાંના લોકોને મળશે અને ભાજપને વોટ ન આપવાનું જણાવશે.
ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં 17 એપ્રિલે પેટાચૂંટણી
ગુજરાતના લોકોને ભાજપને વોટ ન આપવાની કરીશું અપીલ-રાકેશ ટિકૈત
બંગાળના લોકોને પણ અપીલ કરી હતી કે ભાજપને વોટ ન આપતા-ટિકેત
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું કે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં પેટાચૂંટણી થવાની છે. હજુ હમણા બંગાળ ગયા હતા અને ત્યાંના લોકોને કેન્દ્રની ભાજપ સરકારના ખેડૂત વિરોધી વલણથી વાકેફ કર્યાં હતા. અમે બંગાળના લોકોને પણ ભાજપને મત ન આપવાની અપીલ કરી હતી. હવે અમે ગુજરાત પણ જવાના છીએ અને ત્યાંના લોકોને ભાજપને વોટ ન આપવાની અપીલ કરીશું.
આંદોલનના ચાર મહિના પૂર્ણ થવાના આરે
નોંધનીય છે કે ત્રણ મહિનાથી પણ વધુ સમયથી સિંઘુ બોર્ડર, ગાજીપુર બોર્ડર અને ટિકરી બોર્ડર પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને ત્રણેય બોર્ડરને બંધ રાખવામાં આવી છે. આ બોર્ડર પર સામાન્ય પ્રજાએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે થોડા સમયથી ખેડૂતોએ પોતાની રણનીતિ બદલી છે અને હવે ખેડૂત નેતાઑ બોર્ડરની જગ્યાએ વિવિધ રાજ્યોમાં જઈને સભાઑ કરી રહ્યા છે અને સરકાર તથા ભાજપ સામે પ્રહાર કરી રહ્યા છે એવામાં હવે ફરીથી બોર્ડર પર હલચલ વધે તેવું નિવેદન રાકેશ ટિકૈત દ્વારા આપવામાં આવ્યું છે.
પહેલા ખાલી થઈ હતી આ બોર્ડર
નોંધનીય છે કે આ પહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ભારતીય કિસાન યુનિયન- ભાનૂના કાર્યકાર્તાઑએ આ બોર્ડરને બ્લોક કરીને રાખી હતી. જોકે 26મી જાન્યુઆરીના રોજ લાલ કિલ્લા પર થયેલી હિંસા બાદ ભારતીય કિસાન યુનિયન-ભાનુ દ્વારા આંદોલન પરત ખેંચી લેવામાં આવ્યું હતું અને આ બોર્ડર ખાલી થઈ ગઈ હતી. જોકે હવે આ બોર્ડર પર ફરીથી સંગ્રામ જોવા મળે તેવી આશંકા છે. રાકેશ ટિકૈતના એલાન બાદ હવે ફરીથી આંદોલનકારીઓ આ બોર્ડર પર એકઠા થવાની આશંકા છે.