અમદાવાદની મુસ્લિમ મતદાતાઓના પ્રભુત્વ વાળી બેઠક એટલે કે જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત
અમદાવાદની મુસ્લિમ મતદાતાઓના પ્રભુત્વ વાળી બેઠક એટલે કે જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલાની 15 હજાર મતોથી જીત થઈ છે.
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કામાં 5મી ડિસેમ્બરે મતદાન થયું હતું. અમદાવાદની મુસ્લિમ મતદાતાઓના પ્રભુત્વ વાળી બેઠક એટલે કે જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. આ બેઠક પર આ વખતે ચોપાંખિયો જંગ જામ્યો હતો. આ બેઠક પર ભાજપે ભૂષણ ભટ્ટને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે ઈમરાન ખેડાવાલાને રિપીટ કર્યા હતા. આમ આદમી પાર્ટીએ હારુન નાગોરી અને AIMIMએ પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાને ઉમેદવાર બનાવ્યા હતા.
2017માં કોંગ્રેસે મારી લીધી હતી બાજી
2012માં નવા સીમાંકન બાદ ખાડિયા-જમાલપુર વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. નવી વિધાનસભાના 2 લાખ મતદાતાઓ પૈકી 65 ટકા મતદાતાઓ મુસ્લિમ છે. અમદાવાદની જમાલપુર વિધાનસભા બેઠકને આમ તો ભાજપનો ગઢ માનવામાં આવતી હતી. પરંતુ 2017માં કોંગ્રેસે બાજી મારી લીધી હતી. વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા ઈમરાન ખેડાવાલાએ જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક પરથી ભાજપ નેતા ભૂષણ ભટ્ટને હરાવ્યા હતા. તેમનો 29,339ની લીડથી વિજય થયો હતો. વર્ષ 2012 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નેતા ભૂષણ ભટ્ટે કોંગ્રેસ નેતા સમીરખાન સિપાઈને હરાવ્યા હતા. 2007માં ખાડિયા બેઠક પરથી ભૂષણ ભટ્ટ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
સતત 8 ટર્મ સુધી જીત્યા હતા અશોક ભટ્ટ
આ બેઠક પર સ્વ.અશોક ભટ્ટ જેવો રેકોર્ડ કોઈ નોંધાવી શક્યું નથી. ભાજપ નેતા ભૂષણ ભટ્ટના પિતા અશોક ભટ્ટે ખાડિયા વિધાનસભા બેઠક પર વર્ષ 1980થી વર્ષ 2007 સુધી સતત 8 ટર્મ સુધી જીત મેળવી હતી, પરંતુ ભૂષણ ભટ્ટ આ સીટ પર માત્ર બે ટર્મ સુધી જ કામ કરી શક્યા હતા. વર્ષ 2012માં નવા સીમાંકન બાદ ખાડિયા અને જમાલપુરની સીટને ભેગી કરી દેવામાં આવી હતી.
જાતિગત સમીકરણ
જમાલપુર-ખાડિયા વિધાનસભા વિસ્તારમાં કુલ 2.15 લાખ મતદારો છે. જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક પર સૌથી વધુ મુસ્લિમ સમાજના મતદારો છે. જેમાંથી 65 ટકા મુસ્લિમ જ્યારે 35 ટકા હિન્દુ મતદારો છે. કોંગ્રેસ અહીંયા મુસ્લિમ મતદારોને જાગૃત કરતી જોવા મળે છે.