ચૂંટણી પહેલા મોટા દલિત નેતાને ભાજપમાં લાવવાના પ્રયાસ તેજ- સૂત્ર
અશ્વિન કોટવાલ બાદ ભાજપની નજર કોંગ્રેસના નેતા શૈલેષ પરમાર પર
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે નેતાઓનો પક્ષ પલટો શરૂ થયો છે, ત્યારે અશ્વિન કોટવાલ બાદ શૈલેષ પરમારને ભાજપ પોતાના પક્ષમાં જોડી શકે છે. શૈલેષ પરમારને ભાજપમાં લાવવાના પ્રયાસ તેજ બન્યા છે. આ અંતર્ગત ભાજપના દલિત સમાજના આગેવાનોએ શૈલેષ પરમાર સાથે બેઠક પણ કરી છે. જેમાં શંભુ પ્રસાદ ટુંડિયા અને મંત્રી પ્રદિપ પરમાર તથા હિંમતનગર ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.
ચૂંટણી પહેલા મોટા દલિત નેતાને ભાજપમાં લાવવાના પ્રયાસ તેજ- સૂત્ર
સૂત્રોના જણાવ્યા અનુસાર મણિલાલ વાઘેલા બાદ પરમારને ભાજપમાં લાવવા પ્રયાસ તેજ કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારમાં મંત્રી પ્રદીપ પરમાર, પૂર્વ રાજ્યસભા સાંસદ શંભુ પ્રસાદ ટૂંડિયા, મણિલાલ વાઘેલા સાથે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર જોવા મળ્યા. ત્યારે ભાજપના ત્રણ સિનિયર નેતાઓ કોંગ્રેસના ધારાસભ્ય સાથે દેખાતા નવાજૂની થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. આ પહેલા જામનગરમાં આયોજિત કથામાં CM ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારને પોતાની કારમાં બેસવા માટે આમંત્રણ આપ્યુ હતુ. ત્યારે શૈલેષ પરમાર હિંમતનગરના સર્કિટ હાઉસમાં જોવા મળતા તેઓ નવા જૂના કરવાના મૂડમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
શૈલેષ પરમાર પર ભાજપની નજર કેમ ?
અમદાવાદના દાણીલિમડા બેઠકથી કોંગ્રેસના MLA શૈલેષ પરમારને કોંગ્રેસમાં દલિત સમાજનો ચહેરો માનવામાં આવી રહ્યો છે.બીજી તરફ અમદાવાદ શહેરમાં શૈલેષ પરમાર દલિત સમાજ પર સારી એવી પક્કડ ધરાવે છે. મહત્વનું છે કે, હાલમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની કોંગ્રેસમાં એન્ટ્રી થઇ છે. જિગ્નેશ મેવાણીની પણ સમગ્ર ગુજરાતમાં દલિત સમાજ પર સારી એવી પક્કડ છે.તો વળી બીજી તરફ રાહુલ ગાંધી અને કોંગ્રેસના સિનિયર નેતાઓ મેવાણીને મહત્વ આપી રહ્યાં છે. આ કારણે શૈલેષ પરમાર કોંગ્રેસમાં અંદરખાને નારાજ હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે. શૈલેષ પરમારની નારાજગીનો આ ફાયદો ભાજપ લેવા માંગે છે. આમ ભાજપ પાસે મેવાણીની સામે ટક્કર લેવા માટે મોટો ચહેરો જરુરી છે.