ચૂંટણીમાં વધુને વધુ બેઠકો જીતવા ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરુપે 12 ઓક્ટોબરથી ગુજરાતમાં ભાજપની 'ગૌરવ યાત્રા'નો પ્રારંભ થશે. ત્યારે આવતીકાલથી શરૂ થઈ રહેલી ઉત્તર ગુજરાતની ગૌરવ યાત્રા પહેલાં ભાજપે ફેરફાર કર્યા છે.
આવતીકાલથી શરૂ થશે ભાજપની ગૌરવ યાત્રા
ઉત્તર ગુજરાતની ગૌરવ યાત્રા પહેલાં ભાજપે કર્યા ફેરફાર
ઉત્તર ગુજરાતની ગૌરવ યાત્રામાંથી હાર્દિક પટેલના નામની બાદબાકી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મિશન 182ના ટાર્ગેટને સાર્થક કરવા ભાજપના કેન્દ્રીય નેતાઓથી માંડી એક-એક કાર્યકર્તા મહેનતમાં જોતરાયા છે. મતદારો સુધી પહોંચવા ભાજપ દ્વારા એકપછી એક આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજ્યમાં ભાજપની ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. જેનો 12 ઓક્ટોબરથી એટલે કે આવતીકાલથી પ્રારંભ થશે.
નવા ફેરફારમાં હાર્દિક પટેલના નામની કરાઈ બાદબાકી
ભાજપની ઉત્તર ગુજરાતની આ ગૌરવ યાત્રામાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાથે હાર્દિક પટેલ સહિત અનેક મોટા નેતાઓ જોડાવાના હતા. જોકે, આ ગૌરવ યાત્રાના એક દિવસ પહેલા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભાજપની ઉત્તર ગુજરાતની ગૌરવ યાત્રામાંથી હાર્દિક પટેલના નામની બાદબાકી કરવામાં આવી છે.
નવા ફેરફારમાં ઋષિકેશ પટેલ, રજની પટેલ, નંદાજી ઠાકોરનો સમાવેશ
જ્યારે નવા ફેરફારમાં ઋષિકેશ પટેલ, રજની પટેલ અને નંદાજી ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપની આ ગૌરવ યાત્રા બહુચરાજીથી માતાના મઢ સુધી યોજાશે. આ ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહેશે.
જનતાના આશીર્વાદ માટે ભાજપ યાત્ર થકી ખુંદશે ગુજરાત
આ ગૌરવ યાત્રા વિશે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વર્ષોથી ભાજપ યાત્રા સ્વરૂપે લોકોના આશીર્વાદ મેળવવા જાય છે. ત્યારે વિધાનસભા દીઠ જનતાના આશીર્વાદ માટે ભાજપ યાત્રા થકી ગુજરાત ખુંદશે. 21 વર્ષથી ગુજરતામાં નવા આયામો સિદ્ધ થતા આવ્યા છે અને સરકારે અવનવા પ્રોજેક્ટની રાજ્યની જનતાને ભેટ આપી હોવાનું પણ ઉમેર્યું હતું.
બીજી યાત્રાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કરાવશે પ્રસ્થાનઃ પ્રદિપસિંહ
બહુચરાજીના આંગણેથી 12 ઓક્ટોબરે યાત્રા પ્રસ્થાન કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય મંત્રીઓ જોડાઈ ગુજરાતનો પ્રવાસ કરશે. આ યાત્રા રાજ્યમાં સતત 9 દિવસ સુધી ચાલશે. બીજી યાત્રાનો જે.પી નડ્ડા દ્વારકાથી કરાવશે પ્રસ્થાન. જે યાત્રા 13 જિલ્લાઓમાં પ્રવાસ કરશે તેવું પ્રદીપસિંહે જણાવ્યું હતું.
ત્રીજી યાત્રાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રસ્થાન કરાવશે
તેમણે જણાવ્યું હતું કે, ઉનાઈ માતાના આશીર્વાદ સાથે ત્રીજી યાત્રાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રસ્થાન કરાવશે. જે ત્રીજી યાત્રા 14 વિધાનસભામાં પ્રવાસ કરી અંબાજી ખાતે પૂર્ણ થશે. આગેવાનોને અલગ-અલગ રૂટની પણ ફાળવણી કરી દેવામાં આવી છે.