નાગરિકતા સંશોધન કાયદો (CAA) ના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડા કોલકતામાં રેલી યોજશે. જે.પી. નડ્ડા કોલકતામાં 12 વાગે સુબોધ મલિક સ્કવોયરથી શ્યામબજાર સુધી પદયાત્રા કરશે. જ્યાં જે.પી. નડ્ડા રેલીને સંબોધન કરશે. જો કે પહેલા કોલકતા પોલીસે નડ્ડાને પદયાત્રાની મંજૂરી આપી નહોતી ત્યારબાદ મંજૂરી આપવામાં આવી હતી.
CAA અને NRC મામલે પ.બંગાળમાં વાતાવરણ ગરમાયું
ભાજપ કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાની આજે રેલી
પ. બંગાળમાં CAAનો મમતા બેનર્જી કરી રહ્યા છે વિરોધ
ખરેખર, CAA પર વિપક્ષ દ્વારા દેશભરમાં કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લઇને ભાજપ દ્વારા આ મુદ્દા પર જન જાગરણ અભિયાન ચલાવાની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય પદાધિકારીઓ દ્વારા શનિવારે યોજાયેલી બેઠક પર આ અંગે નક્કી કરવામાં આવ્યું કે પાર્ટી ઘર-ઘર જઇને નાગરિકતા સંશોધન કાયદા અંગે લોકોને જાગૃત કરશે.
ભાજપ દ્વારા દેશભરમાં 1000 રેલી કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. આ રેલીમાં સ્થાનિક તેમજ કેન્દ્રીય નેતાઓ સામેલ થશે. આ સાથે ભાજપ દ્વારા દેશભરમાં 250થી વધારે પ્રત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રિય મંત્રીઓ તેમજ પાર્ટીના પ્રવક્તા સંબોધન કરશે.