ગુજરાતમાં ચૂંટણી આવતા જ મહામારીને ભૂલીને ભારે ભીડ ભેગી કરવામાં આવી છે ત્યારે આજે આવા બેજવાબદાર લોકોએ માસ્ક ન પહેરવા માટે પણ બહાના કાઢ્યા હતા.
કાર્યકર્તાઓને નથી નડતો કોરોના
માસ્ક વિના જ રેલીમાં જોડાયા કાર્યકરો
માસ્ક ન પહેરવાના અવનવા બહાના
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ દ્વારા ખૂબ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મહિના પહેલા જે માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસ માટે જનતા દંડાતી હતી અને લીલા તોરણે જાન પાછી મોકલવાની પણ ઘટનાઓ બની તે જ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો ખૂલેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે.
મહામારીના બિનજવાબદાર લોકોના બહાનાઑ
આજે ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવેલી રેલીમાં કાર્યકર્તાઓ માસ્ક વગર નાચતા અને કુદતા નજરે પડ્યા હતા. જ્યારે આ લોકોને માસ્ક વિષે સવાલ કરવામાં આવ્યો તો જાત જાતના બહાનાઓ કાઢવામાં આવ્યા હતા. એક કાર્યકર્તાએ કહ્યું કે નાચવામાં તકલીફ પડે છે એટલે કાઢી દીધું છે તો બીજા કાર્યકર્તાઑ તો કહેવા લાગ્યા કે મેં તો વેક્સિન લઈ લીધી છે. ઘણા બધા તો માઇક જોઈને જ સવાલોથી ભાગતા નજરે પડ્યા છે.
આજે પ્રચારનો છેલ્લો દિવસ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનપામાં પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોટા પાયે તૈયારી કરવામાં આવી છે.ગુજરાતમાં 6 મનપા માટે 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થવા જઈ રહી છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જનસંપર્ક માટે ઝંઝાવાતી પ્રચાર કરવા જઈ રહ્યા છે. આજે બંને પાર્ટીઓ પોતાનું શક્તિ પદર્શન કરી રહી છે.
પ્રચારના છેલ્લા દિવસે પાટીલે બતાવ્યો પાવર
આજે મહાપાલિકાના ચૂંટણીપ્રચારનો છેલ્લો દિવસ છે ત્યારે અમદાવાદમાં ભાજપની જનસંપર્ક યાત્રા મોટી સંખ્યામાં લોકો કાર્યકરો જોડાયા હતા. સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી અને આ રેલી 17 વોર્ડમાંથી નિકળી રહી છે. અમદાવાદમાં કુલ 22 કિલોમીટરના રૂટ ઉપર છે આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ મનપામાં 175 પ્લસનો ટાર્ગેટ છેઃ આઈ.કે.જાડેજા
નોંધનીય છે કે આ રેલીઑ દ્વારા ભાજપ લોકો સુધી પહોંચવા માટે પ્રયાસ કરી રહ્યું છે ત્યાં ભાજપ શહેર પ્રભારી આઈ. કે. જાડેજાએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમદાવાદ મનપામાં 175 પ્લસનો ટાર્ગેટ છે. સાથે સાથે તેમણે માસ્ક માટે કાર્યકરોને સૂચન કર્યું હતું કે માસ્ક વિના રેલીમાં ન જોડાય તે માટે અપીલ કરી છે.