AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટી સતત સારૂ પ્રદર્શન કરી રહી છે. ઇટાલિયાના નેતૃત્વમાં AAP પાટીલને તેમના જ ગઢમાં પડકાર ફેંકી રહી છે.
પાટલના ગઢમાં ગાબડૂ
"સોનાની થાળીમાં લોખંડનો ખિલ્લો ઠોકી દીધો છે, જોકે, અમે એનો પણ રસ્તો શોધી લઈશું", આ શબ્દો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતીને સૌને ચોંકાવી દીધા ત્યારે પાટીલે આ વાત કરી હતી. તેમને વિશ્વાસ હતો કે ચૂંટણી બાદ AAP નિષ્ક્રિય થઈ જશે અને ભાજપ ડેમેજ કંટ્રોલ કરી લેશે. જોકે, ડેમેજ કંટ્રોલ તો દુર હવે ભાજપ પોતાના કાર્યકરોને સાચવવામાં પણ નિષ્ફળ રહ્યું છે.
ઇટાલિયાના નેતૃત્વની કમાલ
છેલ્લા બે દિવસમાં સુરતમાં ભારતીય જનતા પાર્ટીના 300 જેટલા સક્રિય કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે. સી.આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રમુખ હોવા છતા તેમના ગઢના કાંગરા એકબાદ એક ખરવા લાગ્યા છે. AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટી સતત સારૂ પ્રદર્શન કરી રહી છે. ઇટાલિયાના નેતૃત્વમાં AAP પાટીલને તેમના જ ગઢમાં પડકાર ફેંકી રહી છે. ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં સુરતમાં જે રીતે પાર્ટી ગ્રાઉન્ડ પર જઈને કામગીરી કરી રહી છે તે જોઈને ભાજપના અનેક કાર્યકરો તેની સાથે જોડાઈ રહ્યા છે.
"ઇમાનદારીથી પ્રભાવિત"
સુરતમાં પાટીલના નાક નીચેથી જ ભાજપના 300 સક્રિય કાર્યકરોને આમ આદમી પાર્ટીમાં જોડ્યા બાદ ઝાડુવાળી પાર્ટીના નેતાઓનો આત્મવિશ્વાસ 7માં આસમાને પહોંચી ચુક્યો છે. આ અંગે આપના નેતાઓનું કહેવું છે કે, "અમારી સ્વચ્છ રાજનીતિથી પ્રભાવિત થઈને ભાજપના કાર્યકરો અમારી સાથે જોડાઈ રહ્યાં છે અને લાઈન જોડાવાની યથાવત છે. જેનું અમે સ્વાગત કરીએ છીએ."
ભાજપનું ડેમેજ કંટ્રોલ
સુરતમાં AAPની આંધીમાં સતત ભાજપનું ધોવાણ થઈ રહ્યું છે ત્યારે આ અંગે સુરત શહેર ભાજપનું કહેવું છે કે," કાર્યકરો ભાજપ છોડી રહ્યા છે તે અમારા ધ્યાનમાં આવ્યું છે અમે તેમના કારણો જાણીને નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું."
કોંગ્રેસ પણ ચિંતામાં
આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ગુજરાતમાં વધી રહી છે જેના કારણે કોંગ્રેસ પાર્ટી પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે. આમ આદમી પાર્ટી સતત ગ્રાઉન્ડ પર જે રીતે કાર્ય કરી રહી છે તેને જોઈને કોંગ્રેસના પણ અનેક સક્રિય કાર્યકરો AAPમાં જોડાવા પ્રેરાઈ રહ્યા છે. આ જ કારણે બે દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના ચાલું હોદ્દેદારો AAPમાં જોડાયા હતા.
2022ની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને પડકાર
2022ની વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસની મુશ્કેલી વધી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં AAP એન્ટ્રી થયા બાદ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોને નુકશાન સહન કરવાનો વારો આવી શકે છે. આમ આદમી પાર્ટી મોટે ભાગે શહેરી મતદારોને આકર્ષતી પાર્ટી છે, જેને લઈને ભાજપની ઊંઘ હરામ થઈ છે. કારણ કે, ભાજપે સત્તા જાળવી રાખવા માટે શહેરી મતદારોના મતની ખાસ જરૂર છે. આવામાં જો AAP શહેરોમાં ભાજપને પડકાર ફેંકે છે તો 2022ની ચૂંટણીમાં રસાકસીનો જંગ થશે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં જો AAP મજબૂતી સાથે ચૂંટણીમાં ઝંપલાવશે તો કોંગ્રેસને પણ ભારે નુકશાન જવાનો ડર સતાવી રહ્યો છે.