આ લોકસભા ચૂંટણીમાં શરૂઆતથી જ એક વાત દરેક મોઢે સાંભળવા મળતી હતી કે મોદી લહેર તો નથી, પરંતુ ગ્રાસરૂટ લેવલ સુધી કોઈ ભાળ મેળવી શક્યું ન હતું જ્યાં સુનામી છૂપાયેલી હતી. સત્તરમી લોકસભા ચૂંટણીના પરિણામોનું કેસરિયું મોજું જે રીતે દેશમાં ફરી વળ્યું તે જોઈને દેશમાં એક જ ચર્ચા રહી કે આખરે આટલી બધી સીટો ભાજપને મળી કેવી રીતે?
દિવસ-રાત ટીવી અને અખબારોમાં વિશ્લેષણ કરતા પોલિટિકલ પંડિતો પણ પરિણામો બાદ આઘાતમાં સરી પડ્યાં હોય તેવો માહોલ સર્જાયો છે. GST, નોટબંધી, બેરોજગારી, ખેડૂતોની દુર્દશા અને ભ્રામક વિકાસ પર વિપક્ષના પ્રહારોની વચ્ચે ભાજપનું કમળ સોળે કળાએ ખીલી ઉઠ્યું તે ખરેખર એક સ્ટડી કેસ કરવા જેવું સાબિત થયું છે.
જો કે દેશના ઇતિહાસની સૌથી રસપ્રદ ચૂંટણીઓમાંની એક આ વખતની લોકસભા ચૂંટણીમાં સંઘ પ્રેરિત અને હિંદુ રાષ્ટ્રવાદને વળગી રહેલી પાર્ટી ભાજપની જીત માટે રાષ્ટ્રવાદનો મુદ્દો હુકમનો એક્કો સાબિત થયો છે તે ચોક્કસપણે દેખાઈ આવે છે. ભાજપ હિંદુઓની પાર્ટી તરીકેની છાપ ધરાવે છે ત્યારે રાષ્ટ્રવાદ અને હિંદુત્વને કેવી રીતે સાંકળીને લોકોના દિલમાં રાજ કરવું તે નરેન્દ્ર મોદી સારી રીતે જાણે છે. એટલે જ હિંદુ બહુમતી ધરાવતા દેશની ચૂંટણીમાં દરેક રાજ્યોમાં ભાજપે કોંગ્રેસ સહિત પ્રાદેશિક પાર્ટીઓના સૂપડાં સાફ કરી દીધાં. મોદી-શાહ દેશના રાજકારણને એક નવા ટ્રેન્ડમાં સેટ કરી રહ્યાં છે. આઝાદી બાદ આકાર પામેલા નહેરુના સેક્યુલર ઈન્ડિયા પર હવે મોદીનો રાષ્ટ્રવાદ હાવી થઈ રહ્યો છે.
જો કે એવું નથી કે કોંગ્રેસને હિંદુત્વનો મુદ્દો ધ્યાનમાં જ ન હતો. કોંગ્રેસની કમાન યુવાપેઢીના હાથમાં આવતાં રાહુલ ગાંધીએ હિંદુ વોટબેંક આકર્ષવા માટે આ વખતે મંદિરો અને યાત્રાધામના પ્રવાસ કર્યા હતાં. પરંતુ જ્યારે ચૂંટણીના અણીના સમયે નક્કર વાયદા કરવાની વાત આવી ત્યારે મેનિફેસ્ટોમાં કલમ 370 નહીં હટાવવાના મુદ્દાએ ક્યાંક ફરી હિંદુ વિરોધી છાપ ઉભી કરી. જ્યારે બીજી બાજુ ભાજપે રામ મંદિર જેવા મુદ્દાઓને ફરી એક વખત પોતાના ઘોષણાપત્રમાં સામેલ કરીને પોતાનું હિંદુત્વ કાર્ડ મજબૂત બનાવ્યું હતું.
મોદીના આ કામો ફળી ગયા
જેને રૂરલ પુઅર કહેવાય એવા બહુ વિરાટ ગ્રામીણ ગરીબ જનસમુદાયને નરેન્દ્ર મોદીએ પાછલા સત્તાકાળમાં ભાજપની છત્રછાયા હેઠળ આવરી લીધો છે. નાની-મોટી વિવિધ ૨૦૦ જેટલી યોજનાઓના ઘડતર વખતે તેમણે ઝીણવટપૂર્વક અભ્યાસ કરેલો છે. આ ઉપરાંત મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમને ખ્યાલ હતો કે રાજ્યક્ષેત્રે ચૂંટણી જીતવી હોય તો વિકાસ સૌથી મોટો મુદ્દો બની શકે. પરંતુ જ્યારે દેશની વાત આવે ત્યારે રાષ્ટ્રવાદથી મોટો મુદ્દો કોઈ ન હોઈ શકે. બસ, આ જ રણનીતિએ તેમની અમુક નિષ્ફળ થયેલી યોજનાઓને પણ નજરઅંદાજ કરાવવામાં મદદ કરી હતી.
ન્યૂ ઈન્ડિયામાં મોદી ફેવરિટ કેમ?
2001 પછી જન્મેલા અને ત્રીસ વર્ષથી નીચેના યુવાઓ જે સમજણા થયાં ત્યારથી રાજકીય દુનિયામાં અને મીડિયામાં વધુ પડતો મોદીનો જ ચહેરો જોયો છે. એ જ યુવાવર્ગને પોતાની સાથે જોડવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી છે. મોદી ઍપ, ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહીને યંગ ઇન્ડિયા સાથે પણ કનેક્ટેડ રહે છે. જેથી આજના યુવાનને પણ મોદી પોતાના લાગે છે. તેમની નાની-મોટી અપડેટ્સના કારણે યુવાઓ તેમની કાર્યશૈલીથી અપડેટ રહે છે અને એક જ નેતા સક્ષમ છે તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત સામે મોદીની સમકક્ષ વિપક્ષમાં કોઈ ટક્કર લે તેવો મજબૂત અને ચોક્કસ ચહેરો પણ દેખાતો નથી. કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના ગઠબંધનમાં પણ કોઈએ સ્પષ્ટ રીતે પ્રધાનમંત્રીના દાવેદાર જાહેર કર્યા ન હતાં જેથી પ્રજા મોદીના ચહેરા સિવાય કોને વોટ આપવો તેની મૂંઝવણમાં હોઈ શકે.
માત્ર જાતિવાદ નહીં ચાલે
આ ચૂંટણીમાં જાતિવાદ અને પ્રાદેશિકવાદ પર રાષ્ટ્રવાદ ચડિયાતો સાબિત થયો છે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના જાતિગત સમીકરણોના આધારે રચાયેલા ગઠબંઘનને ભાજપે મ્હાત આપી છે. તો બિહારમાં આરજેડી-કોંગ્રેસ મહાગઠબંધન ઉપર ભાજપ-જેડીયૂનું જોડાણ ભારે પડયું છે. હકીકતમાં ચૂંટણીના પરિણામોએ પ્રાદેશિક અને નાના પક્ષો સમક્ષ મોટો સવાલ ખડો કર્યો છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને બિહારમાં પ્રાદેશિક પક્ષોએ જાતિઓના સમૂહમાંથી બહાર નીકળીને વ્યાપક વિચારધારાના આધારે નવી રણનીતિ ઘડવી પડશે. આ ચૂંટણીમાં મોદી બ્રાન્ડ પ્રાદેશિક જાતિગત રાજકારણ પર ભારે પડી. મોદીના આકરા નિર્ણયો લેનારા નેતા તરીકેની છબી અને કરિશ્માએ ઉત્તરપ્રદેશ અને બિહારના પ્રાદેશિક પક્ષોના જાતિ આધારિત રાજકારણને તોડી નાખ્યું છે. હવે એ સ્પષ્ટ બન્યું છે કે ગણી ગાંઠી જાતિઓનો સમૂહ રચીને ચૂંટણી જીતવી મુશ્કેલ બની છે.
કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓએ નવું કરવું પડશે
જાણકારોના મતે જાતિગત સમીકરણો પર ધ્રુવીકરણ અને રાષ્ટ્રવાદના મુદ્દા ભારે પડયાં. મતલબ કે પ્રાદેશિક પક્ષોએ હવે જાતિથી ઉપર ઊઠીને નવા મુદ્દા શોધવા પડશે. તેમણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે લોકોની અપેક્ષાઓ સંતોષવી પડશે. વિચારધારાની લડાઇમાં લોકોની આકાંક્ષાઓને સમજવી પડશે. બદલાઇ રહેલા રાજકારણનો મર્મ સમજવો પડશે. બિહારમાં ક્યારેક યાદવ-મુસ્લિમ સમીકરણ ચાલતું હતું.