ગુજરાતની છ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપના નેતાઓ અને મોવડી મંડળ કાંતો ટિકિટ માંગવામાં કાંતો ટિકિટ આપવામાં ગોથે ચડ્યા છે. તેવામાં ભાજપ સંગઠનના અંગત સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નરેન્દ્ર મોદી અને અમિત શાહના માનીતા શંકર ચૌધરીને ટિકિટ ન મળે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
રાધનપુર બેઠક તો અલ્પેશ માટે સુરક્ષિત રખાતાં શંકરભાઈને મળવાની શક્યતા પર પૂર્ણ
થરાદ અને ખેરાલું બેઠક માટે મોવડી મંડળ નવા ઉમેદવારો ઉતરાવાની તૈયારી દર્શાવી
શંકરભાઈને તો પરબત પટેલની જગ્યાએ મંત્રી બનવાનો થનગનાટ
પૂર્વ મંત્રી પરબત પટેલ જ્યારે સાંસદ બન્યા એટલે શંકર ચૌધરી નિશ્ચિત થઈ ગયા હતા કે હવે આપણે મંત્રી પાક્કા. કારણ હવે ઉતરગુજરાતના ભાજપીય રાજકારણમાં મોટા માથા બચ્યા ન હતા. પણ ભાજપ મોવડી મંડળે શંકરભાઈને માત ન આપતાં તેઓ સંગઠનના કામમાં લાગી ગયા. પરંતુ જેવા જ અલ્પેશ ઠાકોર ભાજપમાં આવ્યા એટલે શંકર ચૌધરી સફાળા જાગ્યા અને ટિકિટના લોબીંગમાં લાગ્યા.
થરાદ અને ખેરાલું માટે નવા દાવેદારો મેદાને આવ્યા
ઉતર ગુજરાતની ખાલી પડેલી રાધનપુર બેઠક શંકરભાઈની પસંદગી હતી પણ એ મુદ્દે અલ્પેશે જીદ્દ પકડતાં ચૌધરી થરાદ અને ખેરાલું બેઠક પર ઉતરવાની તૈયારી કરી. પરંતુ થરાદ પરથી પરબત પટેલે પોતાના પુત્ર શૈલેષ માટે ટિકિટ માંગી અને ખેરાલું બેઠક પર પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ અમિત શાહ પાસે આ બેઠકની દાવેદારી કરતાં શંકરભાઈ ગોથે ચડ્યા છે.
સંગઠનમાં હોદ્દો પણ સાઈડલાઈન કરવાનો પ્લાનઃ સુત્રો
શંકર ચૌધરી ભાજપ સંગઠનમાં પણ પ્રભુત્વ ધરાવે અને પૂર્વ મંત્રી પણ હતા છતાં સંગઠન શંકરભાઈને ટિકિટ આપવા નથી માંગતી એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ભાજપના સુત્રોના કહેવા મુજબ શંકર ચૌધરીને મોવડી મંડળ સાઈડ લાઈન કરવા માંગે છે એટલે ટિકિટ તો નહીં આપે તેવી સંભાવના છે.
અલ્પેશે VTVને કહ્યું હું 30મીએ ભાજપના મેન્ડેટ પરથી ફોર્મ ભરીશ
ભાજપ માટે રાધનપુર બેઠકનું કોકડું અંતે ઉકેલાયું છે. ઘણાં લાંબા સમયથી જે બેઠક માટે અલ્પેશ ઠાકોર ગૃપ અને અન્ય ગૃપ વચ્ચે ભાજપમાંથી ટિકિટ લેવા માટે આંતરિક માથાકુટ ચાલતી હતી તેનો અંત થયો છે. અલ્પેશ ઠાકોરે VTV સાથે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું કે મારી ટિકિટ રાધનપુરથી ફાઈનલ છે. હું 30મીએ ભાજપના મેન્ડેટ પરથી ફોર્મ ભરીશ.