નરેન્દ્ર મોદી અને અમિત શાહ લોકસભા ચૂંટણીમાં 2014ની સરખામણીએ વધારે બેઠક મળવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ પાર્ટીના બે સિનિયર નેતાઓએ આ દાવા પર સવાલ ઉભા કર્યા છે. સુબ્રમણ્યમ સ્વામી અને રામ માધવે ભાજપની બેઠકો ઓછી આવશે તેવું નિવેદન કર્યું છે.
લોકસભા ચૂંટણી 2019માં ભાજપને ઘણાં રાજ્યોમાં વિપક્ષીદળના ગઠબંધનથી આકરી ટક્કર મળી રહી છે. યુપીમાં સપા-બસપાથી ભાજપને ઘણી ટક્કર મળી રહી છે. જ્યારે ગઈ ચૂંટણીમાં ભાજપ અને તેમના સહયોગીઓને 80માંથી 73 સીટ મળી હતી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી, બિહારમાં કોંગ્રેસ-આરજેડીનું નેતૃત્વવાળું ગઠબંધન તો ઝારખંડમાં કોંગ્રેસ-જેએમએમ ગઠબંધન આ વખતે 2014ની સરખામણીએ વધારે મજબૂત છે.
લોકસભા ચૂંટણી શરૂ થતા પહેલાં દેશના ત્રણ હિન્દી ભાષી રાજ્યોમાં ભાજપે સત્તા ગુમાવી પડી છે. અહીં કોંગ્રેસની સરકાર બની છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ આ ત્રણ રાજ્યોની કુલ 65માંથી 62 સીટ મેળવવામાં સફળ રહી હતી..આમ, આ રાજ્યોમાં કોંગ્રેસને સત્તા મળ્યા પછી ભાજપ માટે અહીં 2014નું પુનરાવર્તન કરવું મુશ્કેલ છે.
લોકસભા ચૂંટણી 2019માં દક્ષિણ ભારતમાં તમિલનાડુને બાદ કરતાં ભાજપ સાથે એક પણ રાજ્યમાં કોઈ મજબૂત સહયોગી પાર્ટી નથી. જ્યારે 2014માં ભાજપે આંધ્રપ્રદેશમાં ટીડીપી સાથે મળીને લોકસભા ચૂંટણી લડી હતી.
આ વખતે ભાજપે AIADMK સાથે ગઠબંધન કર્યું છે. પરંતુ જયલલિતાની ગેરહાજરી અને રાજ્યમાં સત્તા વિરોધી લહેરનો સામનો તેમને કરવો પડી શકે છે. લોકસભા ચૂંટણીમાં આ વખતે 2014 જેવું રાજકીય વાતાવરણ હજી જોવા નથી મળતું. મતદારો સંપૂર્ણ રીતે મૌન છે.
2014માં વિપક્ષી નેતાઓએ કઈ ન બોલીને મોદી લહેર સ્વીકારી હતી. પાર્ટી કેડરમાં પણ એક જોશ હતો. નરેન્દ્ર મોદીની રેલીમાં મોદી-મોદીના નારા આજ કરતાં ઘણાં વધારે હતા.જેને લઈને ભાજપના સિનિયર નેતાઓ જ 272 બેઠકનો ભાજપને નહી મળે તેવો દાવો કરી રહ્યા છે.જો કે ગઠબંધનથી સરકાર એનડીએની બનશે તેવો પણ દાવો વ્યકત કરી રહ્યા છે.