નાગપુરઃ ભાજપનાં સિનિયર નેતા નીતિન ગડકરીએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કરતા કહ્યું હતું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર રાજકીય લાભ માટે ભ્રષ્ટાચારના આડેધડ આક્ષેપ કરી રહ્યાં છે. વડા પ્રધાન મોદીનાં હોદ્દાની ગરિમા જાળવીને રાહુલ ગાંધીએ માન આપવું જોઈએ. દેશનાં ર૦ ટકા ગરીબોને વર્ષે રૂ. ૭ર,૦૦૦ આપવા લઘુતમ આવક યોજનાની ટીકા કરતા ગડકરીએ કહ્યું હતું કે ગરીબોના મત આકર્ષવા માત્ર છે.
ભાજપનાં વરિષ્ઠ નેતા અડવાણી અને મુરલી મનોહર જોશી માટે તમામને માન છે. વિપક્ષોના આરોપને નકારી કાઢતા તેમણે કહ્યું હતું કે ૯૦ વર્ષની ઉપર વય ધરાવતા અડવાણીને આરામની જરૂર છે. આ ઉંમરે કોઈ સક્રિય રહી શકે નહીં. વડા પ્રધાન ફક્ત એક પક્ષના નથી, પરંતુ દેશના છે તેમને માન આપવું જરૂરી છે. મમતા બેનરજી, રાહુલ ગાંધીથી લઈને તમામ વિપક્ષી નેતાઓ અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે.
દરેક પક્ષમાં કે જીવનમાં વ્યક્તિએ અમુક ઉંમર પછી નિવૃત્ત થવું પડે છે. કૉંગ્રેસ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધી મુદ્દાનું પણ રાજકારણ કરે છે તેવો આક્ષેપ કર્યો હતો. પ્રગતિ અને વિકાસની વાત કરવી જોઈએ. આગામી ચૂંટણીમાં ભાજપ અને સાથી પક્ષો સારી બહુમતી મેળવશે અને નરેન્દ્ર મોદી ફિર એક બાર પ્રધાનમંત્રી બનશે.