ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે એટલે કહીં શકાય કે નેતાઓ માટે પક્ષ પલટાની ફુલબહાર મૌસમ આવી ચૂકી છે ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે કોંગ્રેસનો પંજો પકડી લીધો છે.
ભાજપના પૂર્વ MLA બાલકૃષ્ણ પટેલ જોડાયા કોંગ્રેસમાં
ડભોઇ બેઠક પરથી MLA રહી ચૂક્યા છે બાલકૃષ્ણ
2012થી 2017 દરમિયાન ધારાસભ્ય હતા બાલકૃષ્ણ પટેલ
ભાજપની આગામી ચૂંટણીમાં 70થી વધુ બેઠક નથી આવતી: ઠાકોર
ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષપલટો જોવા મળી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ડભોઈમાં ભાજપને ઝટકો લાગ્યો છે. આજે ડભોઈના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે તેમને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. આપને જણાવી દઈએ કે, બાલકૃષ્ણ પટેલ ડભોઇ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2012થી 2017 દરમિયાન ડભાઈના ધારાસભ્ય હતા.
મારી અવગણના થવા લાગી તેનું દુઃખ થયું: બાલકૃષ્ણ પટેલ
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ડભોઇમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસમાં જોડાયા બાદ બાલકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે, 'મેં ભાજપના સંગઠનમાં ખૂબ કામ કર્યું છે. 2009થી 2014 સુધી જિલ્લા પ્રમુખ રહીને અને 2012થી 2017 સુધી ધારાસભ્ય તરીકે ખૂબ સારી કામગીરી કરી હોવા છતાં મારી અવગણના કરવામાં આવી. જેથી આજે હું ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયો છું. હું સંગઠનનો માણસ છું, હું કોંગ્રેસમાં સંગઠનનું કામ કરીશ. કોંગ્રેસમાં મને જોડ્યો તે બદલ હું કોંગ્રેસ પક્ષનો આભાર માનું છું.'
70થી વધારે સીટો આવતી નથી: જગદીશ ઠાકોર
તો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના સર્વેમાં 70થી વધારે સીટો આવતી નથી. ભાજપના સર્વેમાં જ સરકાર બનતી નથી. જે કોઈ મેળાવડા કરવાના થાય એ માત્રને માત્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં જ થાય અને ગુજરાતને અડીને આવેલા રાજ્યોમાં પણ જે કાર્યક્રમો થાય છે. તે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે એવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે.
દિલ્લીમાં કોંગ્રેસ સ્કિનીંગ કમિટીની મળી હતી બેઠક
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તારીખ જાહેર થવાની છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની સરકાર બનાવવા તૈયારી શરૂ કરી દીધી છે. આ વર્ષે ગુજરાતના રાજકારણમાં ઝંપલાવનારી આમ આદમી પાર્ટીએ તો અમૂક વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની પણ જાહેરાત કરી દીધી છે, ત્યારે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા તાજેતરમાં દિલ્હી ગયા હતા. દિલ્હીમાં રઘુ શર્માએ કેન્દ્રીય નેનૃત્વ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ સ્કિનીંગ કમિટી બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં રઘુ શર્મા સોનિયા ગાંધી અને સંગઠનના મહાસચિવ વેણુગોપાલ સાથે મુલાકાત કરીને ઉમેદવારોના નામની ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અગાઉ ઉમેદવારોની યાદી જાહેર કરવા અંગે નિવેદન આપી ચૂક્યા છે. તેમણે દિવાળી બાદ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું નિવેદન આપ્યું હતું.