લોકસભામાં ભારે બહુમતિ પ્રાપ્ત કર્યા બાદ ફરીવાર સત્તામાં આવેલ ભાજપ આવનારા સમયગાળામાં પણ સત્તા પર કબજો યથાવત રાખશે તેવું લોકોને લાગી રહ્યું છે. ત્યારે ભાજપના મહાસચિવ રામ માધવે એવો દાવો કર્યો હતો કે, આવનારા કેટલાય વર્ષો સુધી સત્તામાં રહેશે. તો આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે, 2047 સુધી ભાજપ દેશ પર રાજ કરશે.
ઉલ્લેખનીય છે કે, ભાજપ જ તે પાર્ટી છે જે કોંગ્રેસનો રેકોર્ડ તોડશે, રામ માધવે જણાવ્યું હતું કે 1950થી શરૂ કરીને 1977 સુધી સત્તામાં રહેનારી કોંગ્રેસને હવે ભાજપ ટક્કર આપશે અને તે પણ જનતાના સાથ થકી.
નોંધનીય છે કે, રામ માધવ અગરતલામાં રવીન્દ્ર સતવાર્ષિકી ભવનમાં પાર્ટીની એક વિજય રેલીને સંબોધન કરી રહ્યા હતા તે સમયે આ વાત ઉચ્ચારી હતી. સભાને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે છેલ્લા પાંચ વર્ષમાં સાંપ્રદાયિક અશાંતિ, ભ્રષ્ટાચારને રોકવામાં સફળ થયાં છીએ.
આ સાથે જ મજબૂત ભારતનું નિર્માણ કરીને અને આર્થિક સ્થિરતા લાવવા બદલ અમને ફરીવાર પ્રચંડ જીત પ્રાપ્ત થઈ છે. સંસદ સુધી પહોંચવા માટે સેનાની સિદ્ધિઓનો ઉપયો કર્યો નથી. આપને જણાવી દઇએ કે, રામ માધવે પૂર્વોત્તર ભારતમાં ભાજપની જીતને લઇને અગત્યની ભૂમિકા ભજવી છે.