CM વિજય રૂપાણીએ એકાએક ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી પદને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજનામું
વજુભાઈ વાળાએ કહ્યું- મને કોઈ જ જાજી અપેક્ષા નથી
પક્ષ દ્વારા જે જવાબદારી સોંપાશે તે સંભાળીશ
ઈ કરીને તકીયા કલામથી જાણીતા ગુજરાત ભાજપના પીઢ નેતા વજુભાઈ વાળાએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનારા વિજય રૂપાણી અંગે જણાવ્યું હતું કે, જ્યારે આનંદી બહેન પટેલે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ આપણને સૌને અચાનક લાગ્યું હતું અને વિજય ભાઈ કે નરેન્દ્ર મોદી આવ્યા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ત્યારે પણ નવાઈ જ લાગી હતી. પરંતુ રાજકારણમાં અચાનક શબ્દ બહું જાણીતો છે. ખરેખરમાં અચાનક જેવું કાંઈ હોતું જ નથી, આ બધુ પક્ષ દ્વારા પહેલેથી જ નક્કી કરવામાં આવતું હોય છે.
તમને કમાન સોંપવામાં આવે તો ?
વજુભાઈ સાથે વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે, તમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો આ જવાબદારી તમે નિભાવશો ? આ સવાલના જવાબમાં તેમણે VTVને જણાવ્યું હતું કે, કમાન સોંપાય એવી વધુ પ્રમાણની અપેક્ષા રાખતો જ નથી. હું માત્ર એટલું જ કહું છું કે હું પાર્ટીનો કાર્યકર્તા હતો, છું અને ભવિષ્યમાં રહેવાનો છે. પાર્ટી જે કામ સોંપે તે મારે કરી બતાવવાનું છે. સાથે જ એવું પણ જણાવું કે, મારા કરતા એવા કોઈ કાર્યકર્તાને જવાબદારી સોંપે જે લાંબા સમય સુધી પાર્ટીને કામ આપી શકે.
જ્ઞાતિવાદનું ફેક્ટર ભાજપમાં કામ કરતુ નથી
ગુજરાતમાં જ્ઞાતિવાદના ફેક્ટરને લઈને વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જ્ઞાતિવાદનું ફેક્ટર કામ કરતું જ નથી. જે કાર્યકર્તા સનિષ્ઠ હોય અને પાર્ટીને નામના કમાવી આપે તેવા જ કાર્યકર્તાને પાર્ટી જવાબદારી આપે છે. વિજય ભાઈ કે નરેન્દ્ર ભાઈ કોઇ જ્ઞાતિ આધારે થોડા મુખ્યમંત્રી બન્યા ?
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ થઇ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. આજે રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા હતા.
રાજીખુશીથી રાજીનામું આપ્યાની કરી વાત
મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાને લઇ વિજય રૂપાણીએ કહ્યું કે હું ભાજપનો આભાર માનુ છું. મને તક આપવા બદલ PM મોદી અને અમિત શાહનો આભાર. મને પાર્ટી તરફથી જે જવાબદારી મળશે તે હું નિભાવીશ. મેં સંગઠનમાં કામ કરવાની ઇચ્છા દર્શાવી છે. અને મને જે જવાબદારી સોંપવામાં આવશે તે નિભાવીશ. મને સમગ્ર ગુજરાતની જનતાનો સારો સહયોગ મળ્યો છે. મને જે જવાબદારી મળશે તે સ્વીકારીશ. વિજય રૂપાણીએઅ કહ્યું કે નવા નવા નેતૃત્વ ભાજપ જ કરી શકે છે. આ રીલે રેસ છે બધા દોડતા જાય છે અને આગળ વધે છે. મેં મારી રાજીખુશીથી રાજીનામું આપ્યુ છે. PM મોદીના નેતૃત્વમાં ગુજરાતની ચૂંટણી લડશે.
07-08-2016થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળનારા મુખ્યમંત્રી વિજય રૂપાણી ખૂબ જ વિનમ્ર અને સરળ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ બાળપણથી જ સંઘના પ્રખર સ્વયંસેવક રહ્યા છે.
જન્મ 2 ઓગસ્ટ 1956માં બર્મામાં થયો
વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956માં બર્મા (રંગૂન શહેર)ખાતે થયો છે. લો પ્રોફાઈલ ધરાવતા CM રૂપાણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તો વિદ્યાર્થી કાળમાં આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી માટે વિરોધ પ્રદર્શનની આગેવાની કરી હતી. તો કટોકટી દરમિયાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો.
ગોરધન ઝડફિયા નવા મુખ્યમંત્રીની ચર્ચામાં પ્રથમ
અકિલા અખબારના તંત્રી કિરીટ ગણાત્રાએ VTV સાથેની ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે, ગોરધન ઝડફિયા ગુજરાતના નવા મુખ્યમંત્રી બને તેવી ચર્ચા છે. ખાસ કરીને 2022ની ચૂંટણી પહેલા પાટીદારો નારાજ હોવાનું છેલ્લા કેટલાક સમયથી ચાલ્યું આવે છે. ત્યારે ગોરધન ઝડફિયા પાટીદાર સમાજ અને અન્ય સમાજોમાં પણ જાણીતા છે.
વિજય રૂપાણીનો રાજકીય સફર
વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા
હાલમાં પણ રાજકોટ પશ્ચિમ સીટનું કરી રહ્યા છે પ્રતિનિધિત્વ
7 ઓગસ્ટ 2016એ ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે અને જનસંઘમાં પણ સક્રિય હતા
ભાજપની સ્થાપનાથી જ એટલે કે 1971થી પક્ષનાં કાર્યકર્તા છે
1976માં કટોકટી વખતે ભાવનગર, ભુજમાં જેલમાં રહી ચૂક્યા છે
1978થી 1981 સુધી RSSના પ્રચારક પણ હતા
1987માં રાજકોટ મનપાના સભ્ય તરીકે ચૂંટાયા
જલ નિકાસ સમિતિનાં અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે
રાજકોટ મહાનગરપાલિકાનાં સ્થાયી સમિતિનાં અધ્યક્ષ રહી ચૂક્યા છે
1996થી 1997 સુધી રાજકોટ મનપાના મેયર તરીકે કાર્ય કર્યું
1998માં ગુજરાત ભાજપના વિભાગાધ્યક્ષ થયા
2006માં ગુજરાત પર્યટન વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે
2006થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે
રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી છે