રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર રાજકીય સંકટ ખતમ થવાનું નામ જ નથી લઇ રહ્યું. સચિન પાયલટે કેટલાય દિવસ સુધી કોંગ્રેસનાં નેતાઓને દોડાવ્યા અને આખરે હવે પાયલટની ઘરવાપસી થઇ ગઈ છે ત્યાં છેલ્લી ઘડીએ ભાજપે નવો દાવ ખેલીને ફરીથી અશોક ગેહલોતના શ્વાસ ઊંચા કરી દીધા છે. શુક્રવારે સત્ર શરુ થાય તે પહેલા ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.
શુક્રવારે સવારે 11 વાગે શરુ થશે સત્ર
ભાજપ આ સત્રમાં ગેહલોત સરકારના વિરોધમાં પ્રસ્તાવ લાવશે
ગુરુવારે ભાજપની બેઠકમાં લેવાયો નિર્ણય
કોંગ્રેસમાં ગેહલોત-પાયલટ ખેંચતાણના કારણે સરકાર જશે : ભાજપ
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંગ્રામ વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજસ્થાનમાં આવતીકાલે ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે. ગેહલોત સરકાર સામે વિધાનસભામાં ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા જઈ રહી છે જેના કારણે અશોક ગેહલોત સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે.જો કે હાલ સંખ્યાબળની દ્રષ્ટીએ જોઈએ તો ગેહલોત પાસે પુરતી સંખ્યા છે.
ભાજપના આ પ્રસ્તાવના કારણે અશોક ગેહલોતે બહુમત સાબિત કરવું પડશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે કોંગ્રેસ સરકાર પોતાના આંતરિક ડખાના કારણે પડી જશે. છેલ્લા એક મહિનાથી અશોક ગેહલોત ભાજપ પર ખોટો આરોપ લગાવી રહ્યા છે પરંતુ કોંગ્રેસમાં બે ભાગ થઇ ગયા છે તે આંતરિક વિખવાદના કારણે સરકાર પડશે.
ભાજપની પાર્ટી બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે ખૂબ જલ્દી આ સરકાર જતી રહેવાની છે કારણ કે કોંગ્રેસ પોતાના ઘરમાં થીગડાં મારીને કપડા જોડવા માંગે છે પરંતુ કાપડ ફાટી જ ગયું છે. નોંધનીય છે કે ભાજપમાં પણ આંતરિક વિખવાદ છે તેવી ચર્ચા વચ્ચે વસુંધરા રાજે પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
પાયલટ જૂથની નારાજગી અને પાયલટની ઘરવાપસી પછી કોંગ્રેસમાં અંદરો અંદરના ડખાનો લાભ ભાજપ લઈ શકે છે અને અંદરો-અંદરની નારાજગીની ગંધ ભાજપ આવી ગઈ છે કદાચ તેથી જ આ પ્રસ્તાવ લાવવા જઈ રહ્યું છે.
નોંધનીય છે કે રાજસ્થાન વિધાનસાભાનું આવતીકાલથી સત્ર શરૂ થઈ રહ્યું છે અને આ સત્રમાં કોરોના, લોકડાઉન સહિતની ચર્ચા થવાની વાત કહેવામાં આવી છે. પરંતુ ભાજપના અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચાથી સત્ર તોફાની બને તો નવાઈ નહીં. આ સિવાય કોંગ્રેસ પાર્ટીમાં પણ તેને લઈને હલચલ તેજ થઇ ગઈ છે.