ભાજપનું એકમાત્ર લક્ષ્યાંક હવે તામિલનાડુમાં સત્તા મેળવવાનો છે. ગયા સપ્તાહે ચેન્નઈની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ સંદર્ભે ભાજપના કાર્યકરોને પણ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે.
વર્ષ ૨૦૧૪ બાદ ભાજપને રાષ્ટ્રીય અને રાજ્યસ્તરીય ચૂંટણીઓમાં જે સફળતા મળી રહી છે તેની પાછળના મુખ્ય રણનીતિકાર અમિત શાહ જ રહ્યા છે. તામિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ફરી એક વખત અન્નાદ્રુમક (એઆઈએડીએમકે) સાથે ગઠબંધન કર્યું છે.
રાષ્ટ્રીય પક્ષોએ હજુ પણ તામિલનાડુની રાજનીતિમાં પોતાના અસ્તિત્વ માટે પ્રાદેશિક પક્ષોની સાથે બેસવું જ પડે છે
તામિલનાડુ છેલ્લા થોડા સમયથી ભાજપના રડાર પર છે. આ રાજ્યમાં પગ જમાવવાની કોશિશ તેઓ સતત કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી એવું બની શક્યું નથી, કેમ કે અહીંની બે દ્રવિડ પાર્ટીઓએ ક્યારેય પણ રાષ્ટ્રીય પક્ષોને આવું કરવાની તક જ આપી નથી. કોંગ્રેસ અને ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષોએ હજુ પણ તામિલનાડુની રાજનીતિમાં પોતાના અસ્તિત્વ માટે પ્રાદેશિક પક્ષોની સાથે બેસવું જ પડે છે.
ભાજપ હજુ એવી મજબૂત સ્થિતિમાં નથી કે એકલાહાથે ચૂંટણી મેદાનમાં ઊતરી શકે
રસપ્રદ વાત એ છે કે, તામિલનાડુમાં ભાજપના કાર્યકરો અન્નાદ્રુમક સાથેના ગઠબંધનનો વિરોધ કરી રહ્યા છે અને એકલાહાથે વિધાનસભા ચૂંટણી લડવાની વાત પર ભાર મૂકી રહ્યા છે. અમિત શાહે જોકે કાર્યકરોને ભર્યા શબ્દોમાં સાફ જણાવી દીધું છે કે, ભાજપ હજુ એવી મજબૂત સ્થિતિમાં નથી કે એકલાહાથે ચૂંટણી મેદાનમાં ઊતરી શકે. આ માટે જ તેમણે તમામ લોકોને ધીરજ રાખીને દૂરનું વિચારવાની ટેવ પાડવા જણાવ્યું છે.
અમિત શાહની હાલની રણનીતિ ગ્રાસરૂટ પર કામ કરીને ભાજપને ઉત્તરપ્રદેશ અને બિહારની જેમ મજબૂત બનાવવાની
બિહાર, ઉત્તરપ્રદેશ અને પૂર્વોત્તરના રાજ્યોનું ઉદાહરણ આજે ભાજપ સહિત સમગ્ર દેશ સામે છે. તામિલનાડુમાં પણ ભાજપ આ રીતે જ ધીમેધીમે આગળ વધવા ઈચ્છે છે. અન્નાદ્રુમકના નેતૃત્વવાળી તામિલનાડુ સરકાર અને ભાજપની આગેવાનીવાળી કેન્દ્રની મોદી સરકાર વચ્ચે ઘણા સમયથી તલવારો તણાયેલી છે. અનેક એવા મુદ્દાઓ છે, જેના ઉપર બંને પક્ષો સાવ વિપરિત રણનીતિ અને વિચારધારા ધરાવે છે. આથી ઘણા રાજકીય નિષ્ણાતો આ ગઠબંધનને શંકાની નજરે જોઈ રહ્યા છે અને તેમનો દાવો છે કે, ભાજપ-અન્નાદ્રુમકનું આ કજોડું બહુ લાંબું નહીં ચાલે.
અમિત શાહની હાલની રણનીતિ ગ્રાસરૂટ પર કામ કરીને ભાજપને ઉત્તરપ્રદેશ અને બિહારની જેમ મજબૂત બનાવવાની છે. બિહારની ચૂંટણીની સફળતાએ અન્નાદ્રુમકના નેતાઓ અને કાર્યકરોને અત્યારથી જ આશંકિત કરી દીધા છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેના મુખ્ય સહયોગી પક્ષ જનતાદળ (યુનાઈટેડ) કરતાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને બધાને ચોંકાવી દીધા છે. ગઠબંધનમાં સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઉભરીને ભાજપે વિરોધીઓની સાથે સાથે સહયોગીઓને પણ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે.
દક્ષિણ ભારતમાં સ્થાનિક જનતા ક્યારેય રાષ્ટ્રીય પક્ષ ઉપર વિશ્વાસ મૂકી શકી નથી
અન્નાદ્રુમકના કેટલાક સમર્થકોને ડર છે કે, ભાજપ તામિલનાડુમાં પણ બિહારવાળી કરી શકે છે અને ગઠબંધન તેમના માટે જ જોખમી સાબિત થઈ શકે છે. તામિલનાડુની રાજનીતિમાં દેશના બંને મોટા પક્ષ ભાજપ અને કોંગ્રેસ હજુ સુધી કંઈ ખાસ ઉકાળી શક્યા નથી. એ વાત જ દર્શાવે છે કે, દક્ષિણની રાજનીતિમાં રાષ્ટ્રીય પક્ષો માટે કોઈ જગ્યા નથી. પ્રાદેશિક પક્ષોનો દબદબો હજુ પણ એવો ને એવો જ છે અને સ્થાનિક જનતા ક્યારેય રાષ્ટ્રીય પક્ષ ઉપર વિશ્વાસ મૂકી શકી નથી.તામિલનાડુનું ચિત્ર આપણે ધ્યાનથી જોઈએ તો, બંને પ્રાદેશિક પક્ષો ડીએમકે અને એઆઈએડીએમકે બંને રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને આવતા વર્ષે મે મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડશે એ લગભગ નક્કી જ છે.
ભાજપ પાસે દક્ષિણના રાજ્યમાં સત્તાસ્થાને પહોંચવાનો દરવાજાની ચાવી તામિલનાડુ ચુંટણી
ભાજપ માટે દરેક ચૂંટણીની રણનીતિ તૈયાર કરનારા અમિત શાહ સારી રીતે જાણે છે અને સમજે છે કે, દક્ષિણના રાજ્યમાં સત્તાસ્થાને પહોંચવાનો દરવાજો તેમના માટે તામિલનાડુની ચૂંટણી જીતીને જ ખુલી શકે તેમ છે. આ માટે જ તેઓ ભવિષ્ય ધૂંધળું હોવા છતાં પણ આજે અન્નાદ્રુમક સાથે બેસવા તૈયાર થઈ ગયા છે. ભાજપની આ મજબૂરી અને તેમની ભવિષ્યની તમામ રણનીતિથી અન્નાદ્રુમક પણ અજાણ નથી જ. તેમના માટે ભાજપ સાથેનું ગઠબંધન તામિલનાડુમાં સત્તાના સિંહાસન સુધી પહોંચવાની સીડી જ છે. સ્વાર્થના પાયા પર સધાયેલાં અને રચાયેલાં આ ગઠબંધનનું ભવિષ્ય પણ ચૂંટણીનાં પરિણામો પર જ નિર્ભર રહેશે.