ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ફરી એક વખત અમદાવાદમાં રખડતા ઢોરને લઇને નિવેદન આપ્યું છે. પરંતુ શું હકીકતમાં નેતાઓની મોટી વાતો વચ્ચે કેટલા પ્રમાણમાં શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ ઘટ્યો છે?
ગુજરાતમાં વધી રહ્યો છે રખડતા ઢોરનો ત્રાસ
અનેક લોકો બની રહ્યા છે ઢોરના હુમલાનો ભોગ
રખડતા પશુના ત્રાસ અંગે ફરી CM સાથે આજે વાત કરીશુંઃ પાટીલ
મહાનગરોમાં અને નગરપાલિકાઓમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે. તેના કારણે અનેક દુર્ઘટનાઓ પણ બની રહી છે. પરંતુ આપણે ત્યાં માત્ર રખડતા ઢોરનો ત્રાસ હવે નહીં રહે તેવી વાતો થાય છે. અથવા તો કડક હાથે તંત્ર કામગીરી કરશે તેવી વાતો થાય છે. પરંતુ હકીકત એવી છે કે રાજ્યના તમામ શહેરોમાં આ પ્રકારનો રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે.
ગ્રામ્ય વિસ્તારમાં રોઝ અને ભૂંડનો ત્રાસ સામે આવ્યો છેઃ પાટીલ
રાજ્યના મોટાભાગના શહેરોમાં લોકોની સૌથી મોટી સમસ્યા રખડતા ઢોરનો વધતો ત્રાસ બની ગઈ છે. તેમાં પણ તંત્ર અને નેતાઓ રોજ રખડતા ઢોરનો ત્રાસ ઘટાડવા માટે મોટી-મોટી વાતો કરે છે. ત્યારે રખડતા પશુ મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ફરી મહત્વનું નિવેદન આપ્યું છે. સી.આર.પાટીલે કહ્યું કે રખડતા પશુના ત્રાસ અંગે ફરી CM સાથે આજે વાત કરીશું. રખડતા પશુ મામલે નિરાકરણ આવે તે દિશામાં કામ કરીશું. ગ્રામ્ય વિસ્તારમાં રોઝ અને ભૂંડનો ત્રાસ સામે આવ્યો છે.
ગીર સોમનાથના ઉનામાં રખડતા ઢોરે અડફેટે લેતા એક મહિલાનું મોત થયું હતું
રખડતા ઢોર હાલ શહેરોમાં સૌથી મોટો મુદ્દો છે. કારણ કે, રસ્તા પર જતા વાહન ચાલકો તો તેમનો ભોગ બની રહ્યા છે જ. પરંતુ તેની સાથે-સાથે રસ્તા પર ચાલીને જતા રાહદારીઓ પણ રખડતા ઢોરના આતંકથી પરેશાન થઈ ચૂક્યા છે. એક દિવસ પહેલા જ ગીર સોમનાથના ઉનામાં રખડતા ઢોરે અડફેટે લેતા એક મહિલાનું મોત થયું હતું. આવી જ રીતે રાજ્યમાં અનેક લોકોએ રખડતા ઢોરના કારણે જીવ પણ ગુમાવ્યા છે.
વાત જૂનાગઢ શહેરની કરીએ તો બે દિવસ પહેલા જ ચાલીને જતી મહિલાઓ પર ગાયે હુમલો કર્યો હતો. જેમાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. આ મહિલા પર હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. તો આ પહેલા પણ જૂનાગઢમાં રખડતા ઢોરના હુમલાના અનેક કિસ્સા સામે આવ્યા છે. જોકે વાતો ખુબ મોટી-મોટી થાય છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ અનેક વખત સત્તાધિશોને આ મુદ્દે ખખડાવી ચૂક્યા છે. આજે ફરી એક વખત અમદાવાદમાં આ મુદ્દે અધિકારીઓનો ઉધડો લીધો.
કેમ રાજ્યના શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ નથી ઘટતો?
નેતાઓ સત્તાધિશોનો ઉધડો લે. સરકાર રખડતા ઢોરના મુદ્દે તંત્રને ખખડાવે. ખુદ ન્યાય પાલિકા કડક કાર્યવાહી કરવાનો આદેશ આપે, અને તેમ છતાં આપણે ત્યાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ તો તેનાથી મોટું નઘરોડ તંત્ર બીજું કોણ હોય. ત્યારે સવાલ એ થાય છે કે, કેમ રાજ્યના શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ નથી ઘટતો? કેમ કોર્પોરેશન અને મહાનગરપાલિકાના સત્તાધિશો કોઈ કાર્યવાહી નથી કરતા? અધિકારીઓને ઢોર પકડતા કેમ ડર લાગે છે? શું લોકોના જીવ જશે ત્યારે રખડતા ઢોરનો ત્રાસ ઘટશે? શું ઢોર ન પકડવા માટે સત્તાધિશો સુધી હપ્તા પહોંચેશે? ક્યારે લોકોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળશે? સવાલો અનેક છે. ત્યારે આશા રાખીએ કે, સરકાર અને સત્તાધિશો લોકોની આ સમસ્યાને ગંભીરતાથી લેશે. વહેલી તકે રખડતા ઢોરનો ત્રાસ દૂર થાય તે દિશામાં કામ હાથ ધરશે.