ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે નેચરોપેથીની સારવાર લીધી છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને વડાપ્રધાન મોદી તથા કાર્યકરોનો આભાર વ્યકત કર્યો.
સી.આર.પાટીલે લીધી નેચરોપેથીની સારવાર
સો.મીડિયામાં પોસ્ટ કરીને અનુભવ પણ કર્યો શેર
મારા સ્વાસ્થ્ય માટેની ચિંતા કરવા માટે PMનો વિશેષ આભારઃ પાટીલ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદમાં નેચરોપથીની સારવાર લઈને રવિવારે સુરત ફર્યા છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
10 દિવસ પછી નેચરોપથીની સારવારથી 6 કિલો વજન ઓછું થયું
સી.આર પાટીલે ફેસબુકમાં કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, 'વજન વધવાને કારણે તથા સતત પ્રવાસ અને કાર્યરત રહેવાને કારણે મારા ચહેરા પર થાક વર્તાતો હતો જે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આયુષની આયુર્વેદ ઈન્સ્ટીટયુટ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ)માં નેચરોપથીની સારવાર લેવા માટે તાકીદ કરી. આજે દસ દિવસ પછી નેચરોપથીની સારવાર લઈને 6 કિલો વજન ઓછું કરી વધુ તાજગી અને સ્ફૂર્તિ મેળવી આપ સૌ કાર્યકર્તાઓ સાથે કાર્યમાં જોડાયો છું.'
કાર્યકર્તાઓની લાગણી અને શુભેચ્છાઓ માટે આભારી છું: પ્રદેશ અધ્યક્ષ
તેમણે જણાવ્યું કે, 'અનેક કાર્યકર્તાઓ, શુભેચ્છકોએ ટેલિફોનિક શુભેચ્છા પાઠવવાનો પ્રયત્ન કર્યો પરંતુ નેચરોથેરાપીના નિયમો અને શિડયુલના કારણે વાત ના કરી શકયો એ માટે દિલગીર છું અને આપની લાગણી, શુભેચ્છાઓ માટે આભારી છું. વિશેષ રૂપે મારા સ્વાસ્થ્ય માટેની ચિંતા કરવા માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરું છું.'
આયુર્વેદ ઈન્સ્ટીટ્યુટનું સંકુલ ઊભું કરી AIIMSનો દરજ્જો અપાયો: પાટીલ
તેમણે વધુમાં લખ્યું છે કે, આપણી આયુર્વેદિક ધરોહરને આયુષ મંત્રાલય હેઠળ લાવી આ આયુર્વેદ ઈન્સ્ટીટયુટનું વિશાળ સંકુલ ઊભું કરી AIIMSનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જેમાં નેચરોથેરાપીની 71 પ્રકારની સારવાર કરવામાં આવે છે અને દરરોજ 3000થી વધુ લોકો થેરાપીનો લાભ લે છે, આવી ભવ્ય નેચરોથેરાપીની સુવિધા સૌને પ્રદાન કરવા માટે સાહેબને અભિનંદન.