10થી 12 દિવસ વહેલી ચૂંટણી આવે તેવું મને લાગે છેઃ પાટીલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાને આડે હવે ગણતરીનો સમય બાકી હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીને લઈ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી છે. તેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે વિધાનસભાની ચૂંટણી અંગે મોટું નિવેદન આપ્યું છે.
સી.આર પાટીલે વિધાનસભાની ચૂંટણી અંગે આપ્યું મોટું નિવેદન
આજે આણંદ જિલ્લાના નવા કાર્યાલય કમલમના લોકાર્પણ બાદ જિલ્લા પેજ સમિતિ સ્નેહ મિલન સભા યોજાઈ હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું.
ચૂંટણીની તારીખ જાહેર કરવાની સત્તા મારી પાસે નથીઃ પાટીલ
તેમણે જણાવ્યું કે, 'નવેમ્બરના એન્ડ સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જાય એવું મને લાગે છે. વર્ષ 2012-2017માં તો ડિસેમ્બરની 12મી તારીખે ચૂંટણી યોજાઈ હતી. આ વખતે 10થી 12 દિવસ વહેલા ચૂંટણી આવી જાય તેવું મારું માનવું છે.'
સી.આર પાટીલે વધુમાં કહ્યું કે, 'મને કોઈએ આવું કહ્યું નથી. મારી સાથે કોઈની વાત થઈ નથી. હમણા પત્રકાર મિત્રો બ્રેકિંગ ચલાવી દેશે કે અધ્યક્ષે તારીખ જાહેર કરી દીધી, પરંતુ ચૂંટણીની તારીખ જાહેર કરવાની સત્તા મારી પાસે નથી.'
ચૂંટણીની તૈયારીઓ તેજ
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ તમામ રાજકીય પક્ષો પોતાની રીતે ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરા ઉપરી ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે અને ચૂંટણી પ્રચારની ગતિવિધિઓ તેજ બની છે. આગામી દિવસોમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ છેલ્લા 2 મહિનાથી સતત ગુજરાત પ્રવાસ કરી પોતાની પાયાની જમીન બનાવી રહ્યા છે. ગઈકાલે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અમદાવાદ આવ્યા હતા.