ભાજપ દ્વારા પહેલા અને બીજા તબક્કાની 16 લોકસભા બેઠકો માટે ગઇકાલે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ અને રક્ષા પ્રધાન નિર્મલા સીતારમન સહિત પ્રદેશ સરકારના મંત્રીઓ સામેલ છે. પશ્ચિમ અને વ્રજ ક્ષેત્રના સામાજિક સમીકરણને જોડવા માટે દલિત નેતાઓનો પણ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
યુપીમાં કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરી, અરૂણ જેટલી, સુષમા સ્વરાજ, રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન રામલાલ, કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોત, યૂપી ભાજપના પ્રભારી જેપી નડ્ડા ચૂંટણી પ્રચાર કરશે. પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી, રેલવે પ્રધાન પિયૂષ ગોયલ, સ્મૃતિ ઇરાની, મુખ્તાર અબ્બાસ નકવી, હેમા માલિની સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે.
ભાજપ તરફથી સ્ટાર પ્રચારકોની પહેલી યાદીમાં ફરી એકવાર અડવાણી સહિત દિગ્ગજ નેતાઓને નજરઅંદાજ કર્યા છે. આ યાદીમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, વરૂણ ગાંધી, મેનકા ગાંધી ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં નથી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ જ્યારે ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને લઇને ઉમેદવારની પહેલી યાદી બહાર પાડવામાં આવી ત્યારે ગાંધીનગર બેઠક પરથી અડવાણીની જગ્યાએ અમિત શાહનું નામ જાહેર કરવામાં આવતાં લોકોને આશ્ચર્ય થયું હતું.