બિહારમાં નીતિશ કુમારની મહાગઠબંધનમાં વાપસીની વચ્ચે હવે ભાજપ પણ એક્શનમાં આવી ગયું છે, અમિત શાહની બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.
બિહારના રાજકારણમાં ઉથલપાથલ
દિલ્હીમાં અમિત શાહે નેતાઓના લીધા ક્લાસ
લોકસભા ચૂંટણી માટે અપાયું લક્ષ્ય
દેશના રાજકારણમાં વારંવાર ઉથલપાથલ આવી રહી છે, પહેલા મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન અને પછી બિહારમાં. બિહારમાં નીતિશ કુમારની નવી રણનીતિના કારણે ભારતીય જનતા પાર્ટીને જોરદાર ઝટકો લાગ્યો જે બાદ ભાજપ હાઇકમાન્ડે તમામ પ્રાદેશિક નેતાઓએ દિલ્હીનું તેડું મોકલાવ્યું અને અમિત શાહ તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP Nadda ની બેઠકમાં આગામી ચૂંટણીને લઈને લક્ષ્ય આપી દેવામાં આવ્યું છે.
લોકસભાનો ટાર્ગેટ સેટ
મીડિયા રિપોર્ટ અનુસાર આ બેઠકમાં નીતિશ કુમારની પોલ ખોલવા માટે અનેક રેલીઓ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુદ્દે ભાજપના પ્રદેશ અધ્યક્ક્ષે નીતિશ કુમાર પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે બિહારમાં લાલૂ રાજને પાછલા દરવાજે પાછું લાવવા માટેનું આ ગઠબંધન અને જનતા સાથે દગો છે. PM મોદીના નેતૃત્વમાં આગામી સમયમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ 35 બેઠકો જીતશે.
નીતિશ કુમાર પર કરાશે પ્રહાર
નોંધનીય છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ JDU સાથે મળીને ચૂંટણી લડી હતી અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. બિહારમાં લોકસભાની 40 બેઠકો આવે છે જેમાંથી 39 બેઠકો પર NDAની જીત થઈ હતી, જોકે હવે નીતિશ કુમાર સામે પક્ષે જતાં રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એકલા હાથે જ 35 સીટો જીતવાનો ટાર્ગેટ આપી દેવામાં આવ્યો છે.
લોજપાના બંને જૂથને સાથે લાવવા પ્રયાસ
નોંધનીય છે કે બિહારમાં સારી એવી પકડ ધરાવતી લોજપા પાર્ટીને પણ એક કરવા માટે ભાજપે પ્રયાસ શરૂ કરી દીધા છે, જેમાં થોડા સમય પહેલા જ બે ફાડ પડી ગઈ હતી. આ સિવાય નીતિશ કુમારને ટક્કર આપવા માટે નવા ચહેરાની શોધ પણ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ હવે પોતાના જૂના વોટબઁક પર બિહારમાં ફોકસ વધારવા જઈ રહ્યું છે.