મહારાષ્ટ્રમાં છેલ્લાં એક મહિનાથી જે રાજકીય માહોલ દેશને જોવો પડ્યો છે તેમાં તમામ પક્ષોની દોસ્તી-દુશ્મનીના અનેક રંગ જોવા મળી ગયાં છે. આવામાં ચર્ચા થઈ રહી છે કે પોતાના સાથીદારને એક હદથી વધુ દબાવવામાં ભાજપે પછડાટ ખાધી છે. શું શિવસેના પાસે કોઈ વિકલ્પ નથી એવું માની બેસવાની ભાજપે સૌથી મોટી ભૂલ કરી બેઠું?
મહારાષ્ટ્રની રાજકીય ડ્રામામાં સત્તા મેળવવા માટે કોઈ પણ પક્ષે કોઈ કસર બાકી રાખી નહીં. લોકો એ પણ કહેવા લાગ્યાં કે આ સત્તા મેળવવાના નશામાં બંધારણ દિવસે જ બંધારણના કેટલાંક નિયમોનું પાલન ન થયું અને 26/11 આતંકી હુમલાની વરસીએ શહીદોને યાદ કરવાની પણ નેતાઓને તસ્દી મળી નહી. આવામાં અંતમાં ભાજપની સરકાર જેટલી ઝડપથી બની એટલી જ ઝડપથી પડી પણ ગઈ. આવામાં આખરે ભાજપથી ક્યાં કાચુ કપાયું અને તેના કયા પ્લાન શા માટે ફેલ થયાં?
આ માટેના મુખ્ય કારણોની વાત કરીએ તો ભાજપનું પરિણામો બાદનું શિવસેના સાથેનું કોમ્યુનિકેશન પહેલેથી નબળું રહયું હતું. ભાજપને લાગ્યું કે આ પરિસ્થિતિમાં ભાજપને શિવસેનાની જરૂરિયાત કરતા શિવસેનાને ભાજપની વધુ જરૂરિયાત છે. કોંગ્રેસના ધારાસભ્યો તરફથી મળેલા પીઠબળે શિવસેનાને વધુ આત્મવિશ્વાસ અપાવ્યો. કોંગ્રેસના ધારાસભ્યો પણ વહેતી ગંગામાં હાથ ધોવા તત્પર બન્યા હતા. પરંતુ આ સમગ્ર પ્લાનમાં ભાજપને કોઈ સફળતા મળી નહીં.
શું હતો ભાજપનો પ્લાન B?
NCP અને કોંગ્રેસે શિવસેના સાથે સરકાર બનાવવામાં રસ દાખવ્યો તે પહેલા શરદ પવારે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સત્તાવાર રીતે આ મીટિંગ ખેડૂતોના પ્રશ્નને લગતી હતી જયારે સૂત્રોના મતે શરદ પવારે ભાજપ સાથે ગઠબંધન કરવાની તૈયારી દર્શાવી હતી જેના બદલામાં તેમણે મુખ્યમંત્રી પદ માંગ્યું હતું. જો કે હાલમાં જે પરિસ્થિતિ બની છે તેનાથી તો લાગે છે કે આ મીટિંગ નિષ્ફળ રહી.
ભાજપનો પ્લાન C
ભાજપનો પ્લાન C અજિત પવાર ઉપર આધારિત હતો. અજિત પવાર તેના વફાદાર નેતાઓનો ટેકો ભાજપને આપવા તૈયાર હતા. જો કે એન્ટી ડીફેક્શન કાયદાથી ( Anti Defection Law ) બચવા ભાજપે 36 ધારાસભ્યોની જરૂર હતી. આ ઉપરાંત અજિત પાસે સરકાર બનાવવા માટે જરૂરી આંકડાના ધારાસભ્યોની સહી હતી જેની તાત્કાલિક અસર રૂપે રાજ્યપાલ પાસેથી આમંત્રણ મેળવીને ભાજપે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવીને ઉતાવળે સરકારના શ્રીગણેશ કરી દીધા.
એ દિવસે સાંજે શરદ પવારે દાવો કર્યો કે તેમની પાસે તમામ ધારાસભ્યોનો ટેકો છે. આવી પરિસ્થિતિમાં મોટા ભાગે ધારાસભ્યો જેની સરકાર બની શકતી હોય તેવા પક્ષની થાળીમાં જઈને બેસે છે. ફડણવીસ CM પદ ઉપર બિરાજમાન થઇ ચુક્યા હતા પરંતુ NCPના ધારાસભ્યો જાણતા હતા કે પ્રજાએ તેમને શરદ પવારના નામે વોટ આપ્યા છે અજિત પાવરના નામે નહીં.
પ્લાન C નિષ્ફ્ળ જવાનું મુખ્ય કારણ એ જ હતું કે ભાજપે અજિત પવારની NCPમાં વગ વધુ પડતી ધારી લીધી હતી.
શું રાજ્યપાલનું વલણ ભાજપ માટે પક્ષપાતી હતું?
મધરાતે રાષ્ટ્રપતિ શાસન હટી જવું, અજિત પવારના શંકાસ્પદ દસ્તાવેજોની સ્વીકૃતિ અને વહેલી સવારે ફડણવીસની શપથવિધિ; આ ઘટનાક્રમે પ્રજામાં અને શિવસેના, NCP અને કોંગ્રેસના ત્રિપાંખિયા ગઠબંધનમાં ભારે આક્રોશ ફેલાવ્યો. આ ઘટનાએ રાજકીય પક્ષોની સત્તાભૂખને સામે લાવી દીધી.
ફડણવીસના CM હોવાના ટૂંકા 79 કલાકમાં જાદુઈ રીતે અજિત પવાર સામેના કથિત ભ્રષ્ટાચારના ગુનાઓમાં ક્લીન ચિટ મળી ગઈ. જો કે બાદમાં ACB એ આ મુદ્દે સ્પષ્ટતા કરી કે જે પણ કેસમાં ક્લીન ચિટ અપાઈ છે તે કેસોમાં અજિત પવાર સંકળાયેલ નથી. આ ઘટનાઓ જયારે બેકાબુ થઇ ગઈ ત્યારે સુપ્રિમ કોર્ટે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી.
2014 અને 2019 વચ્ચે શું તફાવત છે?
નિષ્ણાતોના મતે શિવસેના અને કોંગ્રેસ-NCP વચ્ચે વિચારધારાઓના મતભેદ હોવા છતાં NCP-કોંગ્રેસ તો પહેલેથી ભાજપની વિરુદ્ધમાં હતાં. એવામાં શિવસેના પોતાનો ઈગો સાચવવા તેમ જ દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય એમ ત્રણેય આખરે એક થઈ ગયાં.
2014માં શરદ પાવરે ભાજપને ટેકો આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જયારે હાલમાં NCP સહિત તમામ પક્ષોએ મોદી-શાહની આ જોડી સામે બાંયો ચડાવી છે. ભારતીય રાજકારણમાં ભાજપનો વિરોધ કરતી એક નવી વિચારધારા અસ્તિત્વમાં આવી છે. હવે દેશમાં ભાજપના શરણે થયેલા અને ભાજપની સામે પડેલા એમ બે જ પક્ષો મોજૂદ છે.
દોસ્તો અને દુશ્મનો ભેગા થયા છે એક લક્ષ્ય સાથે
રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસનું પ્રભુત્વ ઉત્તરોત્તર ઘટી રહયું છે માટે કોંગ્રેસે શરદ પવારના પંથે ચાલવું પડે તો ફરજીયાત હતું. બીજી તરફ શિવસેના થોડા સમય પહેલા જ મહારાષ્ટ્રમાં ભાજપનું મજબૂત સાથીદાર દળ ગણાતું હતું. લોકસભામાં જંગી બહુમતિ બાદ ભાજપે શિવસેનાને કેબિનેટમાં માત્ર એક જ પદ આપ્યું.
જાણકારો માને છે કે શિવસેનાને ભય પેઠો છે કે ભાજપ શિવસેનાનું અસ્તિત્વ ખતમ કરી દેવા માંગે છે. આથી જ તેમણે તેમના કરતા તદ્દન વિરુદ્ધની વિચારધારા ધરાવતા પક્ષ સાથે હાથ મિલાવ્યા છે.
ભાજપ માટે આ ઘટના પછી શીખવા જેવી બાબત ફક્ત એ છે કે જો તે સાથીઓ અને વિરોધીઓ માટે ગુમાવવા માટે કશું જ બાકી નહીં રાખે તો તમામ પક્ષો તેમનું અસ્તિત્વ ભૂંસાઈ ન જાય તે માટે બમણા જોરથી પ્રહાર કરશે.