કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પડી ભાંગ્યા બાદ મધ્યપ્રદેશના વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવે એક મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ કમલનાથ સરકારને પાડી ભાંગવાની ચેતવણી આપી છે. બુધવારના રોજ તેમણે વિધાનસભામાં કહ્યું કે, જો અમારા ઉપરવાળા નંબર 1 અને 2નો આદેશ થયો તો કોંગ્રેસની સરકાર 24 કલાક સુધી પણ નહીં ચાલે.
ભોપાલઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પડી ભાંગ્યા બાદ મધ્યપ્રદેશના વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવે (Gopal Bhargava) એક મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ કમલનાથ સરકારને પાડી ભાંગવાની ચેતવણી આપી છે. બુધવારના રોજ તેમણે વિધાનસભામાં કહ્યું કે, જો અમારા ઉપરવાળા નંબર 1 અને 2નો આદેશ થયો તો કોંગ્રેસની સરકાર 24 કલાક સુધી પણ નહીં ચાલે. ત્યારે ભાજપનાં નેતાના આ નિવેદન પર ગૃહમાં હોબાળો મચી ગયો હતો. એવામાં આ મુખ્યમંત્રી કમલનાથે વળતો પ્રત્યુત્તર આપતા કહ્યું કે, 'તમારા નંબર 1 અને 2 સમજદાર છે, એટલા માટે આદેશ નથી આપી રહ્યાં.'
કમલનાથે (Kamal Nath) જણાવ્યું કે, આ એક નંબર અને બે નંબર કોણ છે તે બધા જ જાણે છે. મધ્યપ્રદેશમાં અમારી સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરશે. જો તમને (ભાજપ) ને એમ લાગતું હોય તો તમે આજે જ અવિશ્વાસનો પ્રસ્તાવ લઈ આવો. ત્યારે ચોક્કસથી સાબિત થઈ જશે કે સરકાર અલ્પમતમાં છે કે નહીં.
અમારા ધારાસભ્ય વહેચાયેલા નથીઃ કમલનાથ
મુખ્યમંત્રીએ કોંગ્રેસ સભ્યો તરફથી લાવવામાં આવેલ ધ્યાનાકર્ષણ સૂચના પર બોલી રહ્યાં હતાં. કમલનાથે કહ્યું કે, રાજકીય જીવનમાં તેમની પર કોઈ જ ડાઘ નથી. આ દરમિયાન ગોપાલ ભાર્ગવે આ ટિપ્પણી કરી. ભાર્ગવના નિવેદન પર ગૃહમાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. તેમના સભ્યોએ ખરીદ વેચાણનો આરોપ લગાવ્યો હતો. કમલનાથે કહ્યું કે, અહીંયા બેઠેલા ધારાસભ્યો વહેંચાયેલા નથી. જો કે બાદમાં હોબાળાને લઇ અધ્યક્ષ એનપી પ્રજાપતિએ કાર્યવાહીને પાંચ મિનીટ સુધી સ્થગિત કરી દીધી હતી.
સરકારનું પિંડદાન થશેઃ ભાર્ગવ
ભાજપના નેતા કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર પડી ભાંગ્યા બાદ સવારથી જ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ સરકારની ઉલ્ટી ગણતરી શરૂ થવા અંગે નિવેદનો આપી રહ્યાં હતા. વિધાનસભાની બહાર ગોપાલ ભાર્ગવે કહ્યું કે, કર્ણાટકથી ચાલેલી હવા હવે છેક મધ્યપ્રદેશ સુધી પહોંચશે. ટૂંક સમયમાં જ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ સરકારનું પિંડદાન થવાનું છે.