ગુજરાત વિધાનસભામાં સરદાર પટેલની પ્રતિમાને લઈને વિવાદ ઊભો થયો. જે બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ભાજપે સરાદરનું અપમાન કર્યું છે. સરદાર સાહેબ અમારૂ ગૌરવ છે. સરદારના નામે રાજકીય રોટલા શેકવાના પ્રયાસ થઈ રહ્યા છે.
ભાજપે ષડયંત્ર કર્યું છે. સમગ્ર જનતા ભાજપ સરકારને પ્રશ્ન કરી રહી છે. સરકારની વેબસાઈટ પર જ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને મેં સરકારના જ શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. SOUની વેબસાઈટ પર જ સરકારે આ શબ્દોનો ઉલ્લેખ કર્યો છે.
ભીખ માગીને ભંગારમાંથી સરદારને કેદ કરવાનું પાપ સરકારે કર્યું છે. તેમના નિવેદનથી કોઈનું દિલ દુભાયુ હોય તો પરેશ ધાનાણીએ એક હજાર વખત માફી માગવા માટે તૈયારી પણ બતાવી. પરેશ ધાનાણીએ એવું પણ કહ્યું કે ભાજપના શાસનમાં બંધારણ પર ખતરો છે. ન્યાયપાલિકાઓ કાંપતી હોય તેવી સ્થિતિમાં છે. ભાજપ પોતાની ઓળખ ઊભી કરી શકી નથી. ભાજપ પારકા નેતાઓને પોતાને બનાવે છે.
વિધાનસભા ગૃહમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને લઈને હોબાળો થયો જ્યાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો આમને-સામને આવ્યા ભંગારના ભુક્કામાંથી સરદારની પ્રતિમા બનાવી હોવાનું ધાનાણીએ નિવેદન આપ્યું જ્યારે CM રૂપાણીએ ધાનાણીના શબ્દો પાછા ખેંચવાની માંગ કરી અને કહ્યું કે સરદાર પટેલ આપણું ગૌરવ છે. ઊંચા માનવીની ઊંચી પ્રતિમા બનાવી છે એ વાંધો છે કોંગ્રેસને બધાને સરદાર પટેલ માટે માન છે પરેશભાઈ શબ્દો પાછા ખેંચે.
વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદન બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ તેમના પર સરદાર પટેલના અપમાનનો આરોપ લગાવી માફી માગવા કહ્યું તો બીજી તરફ પરેશ ધાનાણીના બચાવમાં કિરિટ પટેલ આવ્યા અને તેમણે ભાજપ પર જ સરદારના અપમાનનો આરોપ લગાવ્યો.