ભાજપે હિંમતનગર બેઠક પરથી સીટિંગ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનું પત્તુ કાપીને વી. ડી. ઝાલાને ટિકિટ આપતા વિરોધ થઈ રહ્યો છે. પાર્ટી દ્વારા સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન અપાતા 45થી વધુ કાર્યકરોએ રાજીનામા આપ્યા છે. તો ભરૂચ કોંગ્રેસના નેતા મગન પટેલ 300થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે.
સાબરકાંઠાની હિંમતનગર વિધાનસભા બેઠક ઉપર ભાજપમાં ભડકો
સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન આપતા 45થી વધુ કાર્યકરોના રાજીનામા
ભરૂચ કોંગ્રેસના નેતા મગન પટેલ 300થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
ગુજરાત વિધાનસભાની બ્યૂગલ વાગી ચૂક્યા છે અને રાજકીય પક્ષોની પૂરજોશમાં તૈયારીઓ પણ ચાલી રહી છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે પોતાની રણનીતિ પ્રમાણે આગળ વધી રહ્યા છે. જેમ જેમ પક્ષોમાં ઉમેદવારોની નામની જાહેરાત થઈ રહી છે તેમ તેમ નેતાઓની પક્ષપલટાઓ શરૂ થયા છે. મુખ્ય ત્રણ પક્ષોના નેતાઓની અદલા-બદલીનો ફરી દોર શરૂ થઈ ગયો છે. આ બધાની વચ્ચે સાંબરકાંઠાની હિંમતનગર બેઠક પર ભાજપમાં ભડકો થયો છે.
સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન આપતા રાજીનામા
ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન અપાતા 45થી વધુ કાર્યકરોએ રાજીનામા આપ્યા છે. પાર્ટી દ્વારા વી.ડી ઝાલા ટિકિટ આપવામાં આવતા હિંમતનગરમાં ભારે વિરોધ સામે આવ્યો છે. તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ સંગઠનમાં રાજીનામાનો દોર યથાવત છે.
45થી વધુ કાર્યકરોના રાજીનામા
હિંમતનગર બેઠક પરથી સીટિંગ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનું પત્તુ કાપીને વી. ડી. ઝાલાને ટિકિટ અપાઈ છે. જેના કારણે સ્થાનિકો દ્વારા તીવ્ર પ્રતિભાવો મળી રહ્યા છે. હિંમતનગર પાલિકાના 20થી વધુ સભ્યોએ રાજીનામા ધરી દીધા છે. જ્યારે તાલુકા પંચાયતના 22 સદસ્યો સહિત જિલ્લા પંચાયતના 3 સદસ્યોએ રાજીનામા આપ્યા છે. તો હજુ પણ વધારે રાજીનામા પડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
સાબરકાંઠાની હિંમતનગર બેઠક પર ભાજપમાં ભડકો: સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન અપાતા 45થી વધુ કાર્યકરોના રાજીનામા, હજુ પણ વધુ રાજીનામા પડે તેવી સંભાવના#sabarkantha#gujaratelection2022#BJP
300થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા મગન પટેલ
રાજીનામુ આપ્યા બાદ ભરૂચના કોંગ્રેસ નેતા મગન પટેલે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તેમણે આજે ગાંધીનગર કમલમ ખાતે 300થી વધારે સમર્થકો સાથે સી.આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. તેઓ ટિકિટની ફાળવણીને લઈને નારાજ હતા.
અંકલેશ્વર બેઠક પર ટિકિટ ફાળવણીને લઈ હતા નારાજ
કોંગ્રેસ નેતા મગન પટેલ અંકલેશ્વર બેઠક પર ટિકિટ ફાળવણીને લઈ નારાજ હતા. તેઓ 300 સમર્થકો સાથે તેઓ ગાંધીનગર પહોંચ્યાં હતા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.