અમદાવાદઃ રાફેલ સોદા પ્રકરણમાં કોર્ટે કેન્દ્ર સરકારને ક્લીનચીટ બાદ હવે ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના અનેક આક્ષેપો બાદ મોટો વિવાદ શરૂ થયો હતો. જોકે હવે કોર્ટે રાફેલ સોદા પ્રકરણમાં કેન્દ્ર સરકારને ક્લીનચીટ આપી હોવાથી ભાજપ દ્વારા આ મુદ્દે હવે પ્રદર્શનો યોજાય રહ્યા છે. જુદા જુદા સ્થળો પર કોંગ્રેસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
મહેસાણાઃ દેશભરમાં રાફેલ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યા બાદ નામદાર સુપ્રિમકોર્ટ રાફેલ અંગે સુનાવણી કરાઈ હતી. જોકે સુપ્રિમકોર્ટ દ્વારા રાફેલ ખરીદી મામલે કેન્દ્ર સરકાર ને ક્લીનચીટ આપવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. આથી મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો.
વલસાડઃ વલસાડ જિલ્લા ભાજપ દ્વારા એક રેલી અને કોંગ્રેસ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય કનુભાઈ દેસાઈ સહીત મોટી સંખ્યામાં વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સર્કિટ હાઉસથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરી રોષ વ્યક્ત કર્યો હતો. રેલીના અંતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
પાટણઃ આજ રોજ પાટણ જિલ્લા ભાજપ દ્વારા પાટણના દરવાજાથી કલેક્ટર કચેરી સુધી વિરોધ રેલી યોજી હતી. ભાજપે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સામે આ વિરોધ રેલી યોજી હતી. આ કાર્યક્રમમાં પાટણ જીલ્લા ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો હોદ્દેદારો જોડાયા હતા. રાફેલ મુદ્દે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચોકીદાર જ ચોર છે તેવી ટિપ્પણી કરી હતી. જોકે આ મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારને ક્લિનચીટ આપી છે. આમ છતાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ ખોટો પ્રચાર કરતા તેના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. તેવું પાટણ ભાજપના પ્રભારી મયંક નાયકે જણાવ્યું હતું.
જુનાગઢઃ રાફેલ મુદ્દે શહેર ભાજપ દ્વારા વિરોધ દર્શાવ્યો હતો. ભાજપ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આવીને વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના આક્ષેપોતને વખોડીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં શહેર પ્રમુખ પૂર્વ ધારાસભ્ય સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરઃ રફાલ મુદ્દે સુપ્રીમ કોર્ટના સકારાત્મક વલણને લઈને વિરોધ પક્ષ સામે વિરોધ દર્શાવવા જામનગર ભાજપા દ્વારા સ્કુટર રેલી કાઢી વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવ્યું હતું. દેશની સુરક્ષા વ્યવસ્થા માટે અત્યંત મહત્વપૂર્ણ રફાલ વિમાનની ખરીદીને લઈને કોંગ્રેસ દ્વારા સખ્ત વિરોધ કરવામાં આવ્યો હતો. આ સોદામાં યુપીએ સરકાર દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર કરાયો છે. આ બાબતે વડી અદાલતમાં જુદી જુદી ચાર પીટિશન પણ દાખલ કરવામાં આવી હતી. દરમિયાન તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આ સોદાને વૈધાનીક ગણાવ્યો છે. સરકાર સામે ખોટા આરોપ નાખવા મુદ્દે ભાજપા દ્વારા આજે જામનગર ખાતે સ્કુટર રેલી યોજવામાં આવી હતી. ત્યારબાદ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ખોટા વિરોધ કરનાર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખનુ સંસદ સભ્ય પદ રદ્ કરવાની માંગણી કરવામાં આવી છે.