મહારાષ્ટ્રમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. તમામ રાજકીય પક્ષો હજી સરકારની રચના કરવા મથી રહ્યા છે. શિવસેના સાથે એનસીપી-કોંગ્રેસની વાતચીત હવે અંતિમ તબક્કામાં છે, તેમનો કોમન મિનિમમ પ્રોગ્રામ પણ તૈયાર કરવામાં આવ્યો છે. દરમિયાન, બીજેપીએ ફરી એક વખત સરકાર બનાવવાનો નિર્ણય જાહેર કરતાં કહ્યું કે, ભાજપ વિના મહારાષ્ટ્રમાં સરકાર નહીં બની શકે.
આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે મીડિયા સમક્ષ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે અમારી પાસે સૌથી વધુ ધારાસભ્યો છે. ભાજપ રાજ્યમાં 119 ધારાસભ્યો (105 ભાજપ અને 14 અપક્ષો) સાથે સરકાર બનાવશે.
મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષનો દાવો
તેમણે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે પાર્ટીના નેતાઓ સમક્ષ આ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રદેશ ભાજપ અધ્યક્ષે વધુમાં કહ્યું કે અમે રાજ્યને સ્થિર સરકાર આપવા માટે પ્રતિબદ્ધ છીએ. ભાજપ વિના મહારાષ્ટ્રમાં કોઈ સરકાર નહીં હોઈ શકે.
ભાજપના ધારાસભ્ય ખેડૂતોની દુર્દશાને સમજી શકશે
ચંદ્રકાંત પાટિલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના તમામ ધારાસભ્યો પોતપોતાના વિધાનસભા મત વિસ્તારોમાં જઈને ખેડૂતોની દશા સમજશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે બેઠકમાં બૂથ કક્ષાએ પાર્ટીને મજબુત બનાવવાની ચર્ચા થઈ હતી.
શિવસેના-કોંગ્રેસ-NCP સરકાર બનાવવા કરી રહ્યા છે મહામંથન
નોંધનીય છે કે, શિવસેના-કોંગ્રેસ અને એનસીપી સરકાર બનાવવા માટે લગભગ સહમત થયા છે. જોકે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે વચ્ચે કોણ મુખ્યમંત્રી બનશે તે અંગેનું ચિત્ર હજી સ્પષ્ટ નથી. કોમન મિનિમમ પ્રોગ્રામ (સીએમપી) અંગે ત્રણેય પક્ષો વચ્ચે સર્વસંમતિ થઈ છે.
આ ફોર્મ્યુલા હેઠળ શિવસેનાને સમગ્ર કાર્યકાળ માટે મુખ્યમંત્રી પદ મળશે, જ્યારે કોંગ્રેસ અને એનસીપી પાસે એક-એક ડેપ્યુટી સીએમ રહેશે. આ સિવાય એનસીપીને 14 મંત્રી, કોંગ્રેસને 12 મંત્રી પદ મળશે. મુખ્યમંત્રી પદ ઉપરાંત 14 મંત્રીઓ શિવસેનાના ખાતા પર સહમત થયા છે.