ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હરિયાણાના જિંદમાં એક રેલીને સંબોધી. આ સંબોધનની સાથે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટેનું બ્યૂગલ પણ ફુંક્યું હતું. આ રેલીમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, હરિયાણાના જનરલ સેક્રેટરી અનિલ જૈન સહિત તમામ મંત્રી અને નેતા ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે કહ્યું કે પાંચ વર્ષ પહેલા આ મેદાન પર હું ચૌધરી વીરેન્દ્ર સિંહને બીજેપીના સભ્ય બનાવવા આવ્યો હતો. આજે ચોથી વાર અહીં આવ્યો છું. બીજેપી હરિયાણામાં બહુમતી સાથે સરકાર બનાવશે, તેનો મને ભરોસો છે. હું લોકસભા ચૂંટણીમાં આવ્યો અને હરિયાણાના લોકોએ 300ની પાર પહોંચાડ્યો. આ વખતે પણ જયારે ચૂંટણી થશે તો હરિયાણાના લોકો પીએમ મોદીને આર્શીવાદ આપશે. મોદી સરકારે 75 દિવસમાં સરદાર પટેલનું સપનું પુરું કર્યું છે. તેમણે કહ્યું કે 70 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર વોટબેન્કની લાલચમાં ન કરી શકી, મોદી સરકારે 75 દિવસમાં કરીને દેખાડ્યું.
અમિત શાહે કહ્યું કે અનુચ્છેદ 370 ઈતિહાસનો હિસ્સો થઈ ગયો. ચીફ ડિફેન્સ સ્ટાફ માટે યુદ્ધના સમયે ત્રણેય સેનાઓ એક બનીને દુશ્મનોને હફાવે તે શકય બન્યું ન હતું. ત્રણે સેના અલગ- અલગ કામ કરે છે તો અલગ શક્તિ હોય છે. સીડીએસમાં એક અંગ બનીને કામ કરશે તો તાકાત હજી પણ વધશે. મોદી સરકારે 75 દિવસમાં ખેડૂતો અને વેપારીઓ માટે પેન્શનનું કામ કર્યું. ઉપરાંત તેઓએ જળ મંત્રાલય બનાવ્યું.
વર્ષના અંતે થઈ શકે છે વિધાનસભા ચૂંટણી
એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્ષના અંતે હરિયાણા, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજયોમાં વિધાનસભા ચૂંટણી થઈ શકે છે. એવામાં બીજેપીએ તેની ચૂંટણી માટેની રણનીતિ તૈયાર કરી લીધી છે, જેની શરૂઆત હરિયાણાના જિંદથી થઈ રહી છે.
બીજેપીના રાજયસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહે હરિયાણાના જિંદમાં ગૃહમંત્રી અમિત શાહની રેલી આયોજિત કરી છે. જિંદ ચૌધરી બીરેન્દ્ર સિંહનો જિલ્લો પણ છે. જિંદ જિલ્લાના ઉચાના સીટ પરથી ચૌધરી બીરેન્દ્ર સિંહની પત્ની પ્રેમલતા ધારાસભ્ય પણ છે અને હિસાર સંસદીય ક્ષેત્રમાંથી તેમના પુત્ર વૃજેન્દ્ર સિંહ સાંસદ પણ છે. ઉલ્લેખનીય છે કે હાલ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાનો મુદ્દે ચર્ચાનો વિષય છે. અમિત શાહ જિંદની રેલીમાં જમ્મુ-કાશ્મીરની હાલત પર ચર્ચા કરી શકે છે.