ભાજપે જાહેરાત કરીને કહ્યું હતું કે પક્ષના નેશનલ પ્રેસિડેન્ટ J P નડ્ડા દેશભરમાં 120 દિવસની યાત્રા કરીને પક્ષને મજબૂત કરવા જઈ રહ્યા છે.
ભાજપના જણાવ્યા પ્રમાણે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ પાર્ટીના માળખાને મજબૂત કરવાનો અને જે પ્રદેશોમાં ભાજપે સારું પ્રદર્શન નહોતું કર્યું તે વિસ્તાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ ઉપરથી એવું ચોક્કસ કહી શકાય કે ભાજપ આ પગલા સાથે 2024ની લોકસભાની ચુંટણીને ધ્યેયમાં રાખી રહ્યું છે.
આ પહેલા ભાજપના અગાઉના પ્રેસિડેન્ટ અમિત શાહ આ પ્રકારની યાત્રા કરી ચુક્યા છે જેનું નામ તેમણે 'વિસ્તારક યાત્રા' આપ્યું હતું.
ભાજપના જનરલ સેક્રેટરી અરુણ સિંહના જણાવ્યા મુજબ નેશનલ પ્રેસિડેન્ટ J P નડ્ડા તેમની યાત્રાની શરૂઆત ઉત્તરાખંડથી કરશે. 5 ડિસેમ્બરથી આ યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે.
તેમના જણાવ્યા પ્રમાણે J P નડ્ડા દરેક રાજ્યની મુલાકાત લેશે અને તમામ બૂથ યુનિટના નેતાઓ સાથે વર્ચ્યુઅલ મિટિંગ યોજશે. તેઓ સિનિયર કાર્યકરો ઉપરાંત દરેક MLA અને MPને મળશે અને ગ્રાઉન્ડ લેવલ ઉપર સક્રિય કાર્યકરો સાથે પણ વાતચીત કરશે.
2019 ભાજપની જ્યાં હાર થઈ હતી તે વિસ્તારોની મુલાકાત લઇને તેઓ ત્યાના સ્થાનિક નેતાઓ સાથે રણનીતિ બનાવશે. તેઓ મોટા રાજ્યોમાં સરેરાશ 3 દિવસ વિતાવશે જયારે નાના રાજ્યોમાં સરેરાશ 2 દિવસ વિતાવશે. તેઓ પક્ષના નેતાઓ સાથે મળીને તપાસ કરશે કે કેન્દ્ર સરકારની યોજનાઓનું કેટલા પ્રમાણમાં અમલીકરણ થયું છે અને આ માટે સ્થાનિક પ્રજાને કેટલી જાગૃતિ આપવામાં આવી છે.
આ સાથે તેઓ ભાજપના સમર્થનમાં રહેલી પાર્ટીના નેતાઓને મળશે અને જાહેર કાર્યક્રમો અને પત્રકારો સાથે બેઠકો યોજશે.