અમિત શાહને લઇને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંગઠનમાં જ કાર્યકર તરીકે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કેન્દ્રની નવી સરકારમાં અમિત શાહ કોઈ જવાબદારી નહીં સ્વીકારે તેવી સૂત્રોને જાણકારી મળી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંત્રી બનવાની અનિચ્છા દર્શાવી છે. હાલ અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યભાર સંભાળી રહ્યાં છે. જ્યારે હજુ પણ અઢી વર્ષ સુધી તેમનો અધ્યક્ષ પદનો કાર્યકાળ ચાલુ રહેશે. જોકે સરકાર દ્વારા અમિત શાહને મોટી જવાબદારી આપવામાં આવે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે અમિત શાહ ના અધ્યક્ષ પદે ભાજપે લોકસભાની 2019ની ચૂંટણી ભવ્ય જીત મેળવી છે. લોકસભા 2019ની ચૂંટણીમાં ભાજપે એકલા હાથે બહુમતિ પ્રાપ્ત કરી છે. આમ સૌથી મોટો સવાલ એ છે કે શું બીજેપી અધ્યક્ષ અમિત શાહ સરકારમાં સામેલ થશે?
સૂત્રો જણાવી રહ્યા છે કે અમિત શાહના મંત્રીમંડળમાં સામેલ થવાની સંભાવના ઓછી દેખાઇ રહી છે. કેમકે થોડાં મહીના બાદ હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, દિલ્હી અને બંગાળમાં ચૂંટણી યોજાશે. બીજેપી માટે આ ખુબ જ મહત્વપૂર્ણ છે. કેમકે બીજેપી પાસે રાજ્યસભામાં બહુમત નથી.
જો બીજેપીને 2020 સુધીમાં રાજ્યસભામાં બહુમત જોઇએ તો આ રાજ્યોમાં તેણે જીતવું પડશે. આ કારણે જ અમિત શાહના અધ્યક્ષ બની રહેવાની વાત કરવામાં આવી રહી છે.