વિવિધ આંદોલનના કારણે ગત વિધાનસભાની ચૂંટણીમાં ગુમાવેલી 15 મહત્વની બેઠક કોઈપણ હિસાબે પાછી મેળવવા ભાજપે રાજકીય ચક્રવ્યૂહ અપનાવ્યો છે.
આંદોલનમાં ગુમાવેલી 15 બેઠક માટે ભાજપનો 'ચક્રવ્યૂહ’
2017માં ગુમાવેલી 15 બેઠકમાંથી 60% તો સૌરાષ્ટ્રની
અલ્પેશ અને હાર્દિકને આપવામાં આવી છે ટિકિટ
ગુજરાતમાં ભાજપ જીત માટે જૂના રાજકીય ફોર્મ્યુલાથી લઈને નવા જાતીય સમીકરણનો રાજકીય દાવ રમી રહ્યું છે. જે અંતર્ગત પાર્ટીએ પાટીદારો અને ઓબીસી નેતાઓને ટિકિટ ફાળવણીમાં ઘણુ મહત્વ આપ્યું છે. રાજ્યની 182 વિધાનસભા સીટોની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 45 પાટીદારોને ઉમેદવાર બનાવ્યા છે. 150 પ્લસના ટાર્ગેટ સાથે ચૂંટણી મેદાનમાં ઊતરેલી ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 2017ના આંદોલનમાં ગુમાવેલી 15 બેઠક માટે 'રાજકીય ચક્રવ્યૂહ' અપનાવ્યો છે.
ભાજપનો મજબૂત ગઢ ગણાતી હતી આ બેઠકો
2017ની ચૂંટણીમાં અલગ-અલગ આંદોલનના કારણે ભારતીય જનતા પાર્ટીને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તો કોંગ્રેસને આ આંદોલનોથી ઘણો ફાયદો થયો હતો. પાટીદાર અનામત આંદોલન, દલિત આંદોલન અને ઓબીસી આંદોલનને કારણે ભાજપે 15 મહત્વની બેઠક ગુમાવી હતી. આ બેઠકોને 2017 ચૂંટણી પહેલા ભાજપનો ગઢ માનવામાં આવતો હતો. આ બેઠકમાં 9 સૌરાષ્ટ્રની, 3 ઉત્તર ગુજરાતની અને 3 મધ્ય ગુજરાતની સામેલ છે. આંદોલનોને કારણે ગુમાવેલી 15 બેઠક આ વખતે કોઈપણ હિસાબે પાછી મેળવવા ભાજપે રાજકીય ચક્રવ્યૂહ અપનાવ્યો છે.
15 બેઠકમાંથી 60% બેઠકો તો સૌરાષ્ટ્રની
આ 15 બેઠકમાંથી 60% બેઠકો તો સૌરાષ્ટ્રની છે, જેમાં મોરબી, ટંકારા, કાલાવાડ, ખંભાળિયા, જૂનાગઢ, કોડીનાર, રાજુલા, સાવરકુંડલા અને તળાજા સહિત 9 બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર ગુજરાતની ત્રણ બેઠકમાં ઊંઝા, પાટણ અને રાધનપુર આવે છે. બાકીની ત્રણ મધ્ય ગુજરાતની છે, જેમાં ધંધૂકા, આણંદ અને ઉમરેઠ બેઠક છે.
હાઇકમાન્ડે ઘણા સમય પહેલા જ કરી દીધું હતું પ્લાનિંગ શરૂ
2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી ઓછી માત્ર 99 બેઠક જ મળી હતી, જેમાંથી બોધપાઠ લઈને ભાજપ હાઇકમાન્ડ દ્વારા ઘણા સમય પહેલાથી જ 2022ની ચૂંટણીનું પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટી સફળ પણ થઈ છે.
અલ્પેશ ઠાકોરને પાર્ટીમાં સામેલ કર્યા
2017ની ચૂંટણી પહેલા પાટીદાર અનામત આંદોલન, દલિત આંદોલન અને ઓબીસી આંદોલનો થયા હતા. જેમાં સૌથી પહેલા રાધનપુરથી ચૂંટાયેલા અને ઓબીસી આંદોલનનો ચહેરો અલ્પેશ ઠાકોરને ભાજપમાં સામેલ કર્યા. તેઓને આ વખતે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
બ્રિજેશ મેરજાને ભાજપમાં પ્રધાનપદું આપી દીધું
પાટીદાર આંદોલનનો સૌથી વધારે ફાયદો મોરબી કોંગ્રેસને થયો હતો. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજાના જીતી ગયા હતા. જોકે, તેઓ લાંબો સમય સુધી કોંગ્રેસમાં ન રહ્યા. તેઓએ થોડા દિવસમાં જ કોંગ્રેસને અલવિદા કહીને ભાજપનો ખેસ ધારણ કરી લીધો. પાટીદાર આંદોલનથી પ્રભાવિત મોરબીથી ચૂંટાયેલા બ્રિજેશ મેરજાને કોંગ્રેસમાંથી ખેંચીને ભાજપમાં પ્રધાનપદું આપી દીધું. જોકે, આ વખતે ભાજપે તેમની ટિકિટ કાપીને કાંતિ અમૃતિયાને ઉમેદવાર બનાવ્યા છે.
હાર્દિક પટેલને પણ પાર્ટીમાં સામેલ કર્યા
ચક્રવ્યૂહના ભાગરૂપે ભાજપે પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો એવા હાર્દિક પટેલને પણ પાર્ટીમાં સામેલ કર્યા છે. પાર્ટીએ આ વખતે તેમને વિરમગામ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત અન્ય તમામ બેઠકો પર ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી ખુદ નરેન્દ્ર મોદી અને અમિત શાહે સંભાળી છે. તેઓ ઉપરા ઉપરી આ વિસ્તારોમાં રેલીઓ અને સભા ગજાવી રહ્યા છે.