2024ની ચૂંટણીને આમ જોવા જઈએ તો ઘણી વાર છે પણ ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં પીએમ મોદીએ પોતાના સંબોધનમાં એક અપીલ કરી. તેમણે કહ્યું કે આપણી સરકારની નીતિઓને મુસ્લિમ સમાજના પસમાંદા, બોહરા અને ભણેલા સુધી લઈ જવાની છે. આપણે સમાજના તમામ ભાગોને સાથે જોડાવાનું અને તેમને પણ આપણી સાથે જોડવાના છે.
2024ની લોકસભા ચૂંટણી માટે તૈયારી
મુસ્લિમ સમાજને સાથે લેવા માટે PM મોદીએ કાર્યકરોને આપ્યો ટાસ્ક
લઘુમતી સમાજ સુધી સરકારની વાત પહોંચાડવા પ્રયાસ
કોઈ વર્ગ મત આપે કે ન આપે, તેમના સુધી પહોંચવા પ્રયાસ
પીએમ નરેન્દ્ર મોદીની અપીલ બાદ ભાજપના લઘુમતી મોરચા એ કામ શરુ કરી દીધું. દેશના એવી 60 લોકસભા બેઠકો જેના પર મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે તેવી બેઠકોની ઓળખ કરવામાં આવી. આ મતદારો સુધી પહોંચવા માટે વિશેષ રણનીતિ પણ ઘડાઈ ચૂકી છે. ભાજપના લઘુમતી સેલના પ્રમુખ જમાલ સિદ્દિકીના અનુસાર પીએમે સમાજના તમામ વર્ગોને સાથે જોડવા આહવાન કર્યું છે, પછી ભલે કોઈ વર્ગ પાર્ટીને મત ના આપતા હોય. સિદ્દિકીએ કહ્યું કે અમે મુસ્લિમ સમાજના મતદારોને ભાજપ સાથે જોડવા પ્રયાસ કરીશું.
લઘુમતી સમાજ સુધી કામો પહોંચાડવા પ્રયાસ
ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ભાજપ લઘુમતી મોરચાની નેશનલ એક્ઝીક્યુટીવ બેઠક મળશે. પસમાંદા મુસ્લિમો સુધી સરકારના લાભો કેવી રીતે લઈ જવાના તેના પર આ બેઠકમાં ચર્ચા થશે. જેમાં દેશની દરેક લોકસભા બેઠકમાં 5000 મુસ્લિમ કાર્યકર્તાઓને જોડવા પર ભાર મૂકાશે. મુસ્લિમ સમાજના ધાર્મિક અગ્રણીઓને મળી ભાજપ સરકારના લઘુમતી સમાજ માટેની નીતિ અને કામોને પહોંચડાવાનો પ્રયાસ કરાશે.
દિલ્હીમાં વિશાળ રેલી પણ થશે
ભાજપ લઘુમતી મોરચો આગામી સમયમાં સ્કૂટર રેલીઓનું આયોજન કરશે. માર્ચ મહિનાથી શરૂ થનારા કાર્યક્રમોમાં સ્નેહ સંમેલનોનો પણ સમાવેશ થાય છે. 60 વિધાનસભામાં જોડાનારા નવા 3 લાખ મુસ્લિમ કાર્યકર્તાઓ સાથે દિલ્લીમાં એક વિશાળ રેલી પણ યોજવામાં આવશે. 2011 વસતી ગણતરી મુજબ દેશના પાંચ રાજ્યોમાં મુસ્લિમો અત્યંત પ્રભાવી મતદારો છે. ઉત્તરપ્રદેશમાં 19.26, બિહારમાં 16.87 %, બંગાળમાં 27.01%, આસામમાં 34.22%, ઝારખંડમાં 14.53% ટકા કૂલ વસ્તીનો હિસ્સો છે. જ્યારે ગુજરાતમાં મુસ્લિમો 9.67% ટકા વસ્તી ધરાવે છે.
કોણ છે પસમાંદા મુસ્લિમો?
ચૂંટણી આવે એટલે મીડિયામાં જ્યારે વિશ્લેષણ થાય ત્યારે જે તે વિધાનસભા અથવા લોકસભા સીટ માટે એવું કહેવામાં આવે છે, આ સીટ પર પટેલોની સંખ્યા આટલી છે, બ્રાહ્મણોની સંખ્યા આટલી છે, રાજપૂતોની સંખ્યા આટલી છે. દેશમાં કેટલી સીટો દલિત બહુમતી વિસ્તારની છે, પણ ક્યારેય સાંભળ્યું કે કઈ બેઠકો પર શેખ, પઠાણ કે સૈયદ જેવી જુદી જુદી કેટેગરીની છે? આમ તો મુસ્લિમ સમુદાયની અંદર ઘણા વર્ગ છે પણ સામાજિક રૂપે મુખ્ય ત્રણ છે; અશરાફ, અજલાફ અને અરજાલ. અશરાફ મુસ્લિમો ઉચ્ચ વર્ગ ગણાય છે જેમાં પઠાણનો સંબંધ અફઘાનિસ્તાન તો સૈયદ કેટેગરીના મુસ્લિમોનો સંબંધ પૈયગમ્બર મોહમ્મદ સાથે છે. આ સિવાય શેખ પણ આ જ કેટેગરીમાં આવે છે.
અજલાફમાં મુખ્યત્વે કારીગર વર્ગ આવે છે, દરજી, ધોબી, લુહાર, સુથાર, કુંભાર વગેરેનો સમાવેશ થાય છે. અરજાલ મુસ્લિમો સૌથી નીચલા સ્તરના ગણવામાં આવે છે, જે દલિતોએ ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો છે તેમનો સમાવેશ પણ અરજાલમાં થાય છે. આમ અજલાફ અને અરજાલ બંને મળીને પસમાંદા જૂથ બનાવે છે, પસમાંદાનો મૂળ અર્થ થાય છે 'જે લોકો પાછળ રહી ગયા છે'. એવા લોકો જેમણે ઈસ્લામ ધર્મ તો અપનાવી લીધો પણ પોતાનો કામ ધંધો બદલ્યો નહીં, જેના કારણે સામાજિક અને આર્થિક સ્થિતિમાં કોઈ બદલાવ થઈ શક્યો નહીં.
દિલીપ કુમારે ચલાવ્યું હતું આંદોલન
નોંધનીય છે કે રંગનાથ મિશ્રા, સચ્ચર અને મંડલ સહિત ઘણા આયોગ વર્ગમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ સમુદાયમાં પણ ભેદભાવ છે. અભિનેતા દિલીપ કુમારે હસન કમાલ અને શબ્બીર અન્સારી સાથે મળીને મુસ્લિમોને OBC તરીકે માન્યતા આપવા માટે આંદોલન ચલાવ્યું હતું.
1980માં મંડલ કમિશને પોતાનો રિપોર્ટ જમા કર્યો અને 1989માં વીપી સિંહની સરકારે તેની ભલામણોને લાગુ કરી નાંખી, જે બાદ OBCને 27 ટકા અનામત મળવાની શરૂઆત થઈ. તે સમયે મુસ્લિમ સબ -ક્લાસ OBC લીસ્ટમાં જોડવામાં આવ્યા અને અત્યારે 79 જાતિઓ એવી છે જેમને OBCનો લાભ મળે છે.
શરદ પવારે લીધો હતો મોટો નિર્ણય
વર્ષ 1994માં મહારાષ્ટ્રના તે સમયના CM શરદ પવારે નિર્ણય જાહેર કર્યો હતો જેમાં મુસ્લિમ OBCને હિન્દુ OBCના સમાન જ દરજ્જો આપવાના આદેશ અપાયા, જે બાદ મુસ્લિમો માટે અનામતના રસ્તા ખોલી દેવામાં આવ્યા.
કોંગ્રેસે 5% અનામતની કરી હતી જાહેરાત
વર્ષ 2014માં સરકારના અંતિમ સમયમાં કોંગ્રેસ NCP સરકારે મહારાષ્ટ્રમાં મુસ્લિમોમાં 50 વર્ગોને શિક્ષા અને રોજગારમાં 5% અનામતની જાહેરાત કરી દીધી, આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો જે બાદ કોર્ટે માત્ર શિક્ષણ ક્ષેત્રે 5% અનામત આપવાને મંજૂરી આપી, જોકે તે બાદ સરકાર ભાજપની આવી ગઈ અને મામલો અભરાઇએ ચડાવી દેવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે ભાજપની છવિ ભલે કટ્ટર હિન્દુત્વની જ રહે પણ PM મોદી ખુદને વિકાસપુરુષના રૂપમાં પ્રોજેક્ટ કરે છે અને વારંવાર પોતે તમામ ધર્મોને સાથે લઈને ચાલે છે તેવું દર્શાવે છે, ઘણીવાર તેમના ભાષણમાં મુસ્લિમ મહિલાઓને લઈને ઉલ્લેખ થતો હોય છે ત્યારે જોવાનું એ રહે છે કે પસમાંદા મુસ્લિમોને પોતાની તરફ કરવા માટે ભાજપ કેટલા અને કેવા પ્રયાસ કરે છે અને કેટલા સફળ રહે છે.