ગુજરાતમાં વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ મોટા સમાચાર આવી રહ્યા છે કે શક્યતાઓ એવી પણ છે કે જે પણ નવી સરકાર બનશે તે પણ લાંબી નહીં ચાલે અને યુપી વિધાનસભા ચૂંટણીની જોડે જ ગુજરાતની ચૂંટણી પણ કરાવી દેવામાં આવશે.
ગુજરાતમાં વહેલી ચૂંટણીની શક્યતા
યુપી સાથે ફેબ્રુઆરીમાં યોજાઈ શકે ચૂંટણી
કોરોના મહામારીમાં ભાજપને થયું છે નુકસાન
કોંગ્રેસ, AAPને તૈયારી કરવાનો મોકો નહીં મળે
ગુજરાતમાં વહેલી થશે ચૂંટણી?
ગુજરાતમાં આજે રાજકીય ભૂકંપ આવ્યો છે, રાજ્ય સરકારનાં મુખ્યમંત્રી પદ પરથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું. વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ ગુજરાતમાં રાજકારણમાં ખૂબ જ હલચલ મચી ગઈ છે. રાજ્યમાં આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે રાજકીય પંડિતોનું માનવું છે અને ચર્ચાઓ પણ ચાલી રહી છે કે હવે ભાજપ વહેલા વિધાનસભા ભંગ કરી દેશે.
યુપીની સાથે જ ગુજરાતની ચૂંટણી કરાવવા વિચારણા, AAPને નહીં મળે સમય
નોંધનીય છે કે સૂત્રો અનુસાર ભારતીય જનતા પાર્ટીએ કોરોના વાયરસની બીજી લહેર બાદ એક આંતર સર્વે કરાયો હતો અને તેમાં જનતાનો શું મૂડ છે તે જાણવા માટે પ્રયાસ કર્યો હતો. એવામાં ગુજરાતમાં બે અલગ અલગ ફોર્મ્યુલા પર ભાજપમાં વિચારણા ચાલી રહી છે. પહેલી ફોર્મ્યુલા છે કે ગુજરાતમાં પાટીદાર CM અને અન્ય બે જાતિઓમાંથી બે નાયબ મુખ્યમંત્રી બનાવીને આખી સરકાર ચલાવવામાં આવે અને બીજી ફોર્મ્યુલા છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની સાથે જ ગુજરાતની ચૂંટણી કરાવી દેવામાં આવે.
ભાજપનો શું છે માસ્ટર પ્લાન!
ગુજરાતમાં વહેલી ચૂંટણી થાય તે માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મુખ્ય કારણ છે, કારણ કે કોંગ્રેસમાં લાંબા સમયથી જ્યાં આંતરિક લડાઈ ચાલી રહી છે ત્યાં બીજી તરફ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં લાંબા સમય સુધી કોઈ મોકો મળે નહીં તે માટે વહેલા ચૂંટણી યોજાઇ શકે છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની લહેરનો ફાયદો ગુજરાતમાં પણ મળે તેવી શક્યતા છે. એવામાં એક શક્યતા એવી પણ છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે આગામી ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવશે.
પાટીદાર ચહેરા પર દાવ રમશે ભાજપ! ગુજરાતમાં બે-બે DyCM!
વર્ષ 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે, આ ચૂંટણીમાં એક મોટો અને મજબૂત ચહેરો તથા બધી જ જાતિઓને ધ્યાનમાં રાખીને કોઈ નારાજ ન રહે તેવી સરકાર ભાજપ દ્વારા આપવામાં આવી શકે છે. રાજ્યમાં પાટીદારો ભાજપથી નારાજ ચાલી રહ્યા છે ત્યારે ભાજપ પાટીદાર ચહેરાને મુખ્યમંત્રી બનાવે તેવી પ્રબળ શક્યતાઓ છે જેમા ગોરધન ઝડફિયા અને માંડવીયા આગળ ચાલી રહ્યા છે. એવામાં આગામી વિધાનસભા ચૂંટણીને જોતાં ગુજરાતમાં બે નાયબ મુખ્યમંત્રી બને તેવી ફોર્મ્યુલા સામે આવી રહી છે. કમલમમાં જે ચર્ચા ચાલી રહી છે ત્યારે નવા CMની સાથે બે જુદા જુદા સમુદાયમાંથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. ભાજપની અંદર જે ફોર્મ્યુલા ચાલી રહી છે તે અનુસાર પાટીદાર CMની સાથે એક OBC નાયબ મુખ્યમંત્રી જ્યારે બીજા DyCM SC અથવા ST સમાજના રાખવામાં આવે તેવી વિચારણા ચાલી રહી છે.
આવતીકાલે ભાજપના તમામ ધારસભ્યોને ગાંધીનગર બોલાવાયા
ભાજપનાં ધારાસભ્યોમાં ભારે બેચેની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના બધા જ ધારાસભ્યોને આવતીકાલે ગાંધીનગરમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે. આવતીકાલે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. એવામાં કાલે જ નવા મુખ્યમંત્રીની જાહેરાત કરી દેવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર ધારાસભ્ય દળની બેઠકમાં બધા જ ધારાસભ્યો સામે નામની જાહેરાત કર્યા બાદ સર્વસંમતિથી મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે.
કમલમમાં ભારે હલચલ
વિજય રૂપાણીએ આજે સરદારધામનાં એક કાર્યક્રમમાં હાજરી આપી અને તે બાદ સીધા જ રાજભવનમાં જઈને મોટા નેતાઓ સાથે રાજીનામું આપ્યું હતું. ગુજરાતમાં વિજય રૂપાણીની સાથે ભાજપનાં કેન્દ્રીય નેતૃત્વનાં દિગ્ગજ નેતાઓ તથા ગુજરાત મંત્રીમંડળનાં તમામ સભ્યો હાજર રહ્યા હતા. વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ ગુજરાતનાં રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે ત્યારે ભાજપ કાર્યકર્તાઓમાં ભારે અફરાતફરી વચ્ચે ભાજપનાં કમલમમાં મોટા નેતાઓ દ્વારા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.
અમિત શાહ આવે છે!
ગુજરાતનાં રાજકારણમાં મુખ્યમંત્રીનાં રાજીનામાં રૂપી ભૂકંપ બાદ હવે ભારતીય જનતા પાર્ટીનાં ચાણક્ય અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. આજે રાતે અમિત શાહ ગુજરાત પહોંચશે અને અમિત શાહની ગુજરાત મુલાકાતમાં આગામી 24 કલાકમાં જ ગુજરાતનાં નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. અમિત શાહ ગુજરાતનાં દિગ્ગજ નેતા છે ત્યારે અમિત શાહ જે નામ પર અંતિમ નિર્ણય લે તેની સામે કોઈ ભાજપ નેતા વાંધો પણ ન ઉઠાવે તે મુખ્ય કારણ છે. નોંધનીય છે કે આગામી વર્ષ 2022માં જ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એવા નેતાની જ પસંદગી કરશે જેનાં નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડી શકાય.