ભાજપ માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવતા ઉત્તર પ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને જ જોરદાર ઝટકો લાગ્યો છે.
યુપીની પંચાયત ચૂંટણીઓમાં ભાજપને ઝટકો
મોટી પાર્ટી બનીને ઊભરી સમાજવાદી પાર્ટી
2022માં થશે યુપીમાં વિધાનસભાની ચૂંટણી
યુપી પંચાયતની ચૂંટણીમાં ગોરખપુરમાં સપાએ ભાજપને બરોબર રીતે ધૂળ ચટાવી છે અને PM મોદીના વારાણસીમાં ભાજપને ઓછા મતોનો સામનો કરવો પડ્યો છે. આ રીતે સમગ્ર પૂર્વાંચલના જિલ્લા પંચાયત ચૂંટણીમાં સપા સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરાઈ આવી છે. 2022માં ભાજપ માટે હવે આ આકરું સાબિત થશે, કારણકે પૂર્વાંચલમાં સત્તા દર પાંચ વર્ષે બદલાતી રહે છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગઢ ગણાતા પૂર્વાંચલમાં ધૂળ ચાટવી પડશે તેવું દેખાઈ રહ્યું છે. ગોરખપુરમાં સપાએ ભાજપને મજબૂત ટક્કર આપી છે જયારે PM મોદીના વારાણસીમાં ભાજપને ઓછા મતોનો સામનો કરવો પડ્યો. આ રીતે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પૂર્વાંચલ વિસ્તારમાં સપા એક મોટી પાર્ટીનું રૂપ ધારણ કરી ચુકી છે.
કાશીના અમુક વિસ્તારોમાં ભાજપનું પ્રદર્શન
વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર અને તેની આસપાસના વિસ્તારો આજમગઢ, મિર્ઝાપુર મંડલના 10 જિલ્લાની 502 સીટોમાંથી સપાના ભાગમાં 25 ટકા સીટો આવી છે.જયારે ભાજપના ખાતામાં 14.94 ટકા અને બસપાના ભાગમાં 14.54 ટકા સીટો આવતા તે ત્રીજા સ્થાન પર છે. ભાજપને સૌથી મોટું નુકશાન વારાણસી, જૌનપુર, અને ગાઝીપુરમાં થયું છે. ગાઝીપુરની 64માંથી 35 સીટો સપાએ જીતી અને ભાજપને માત્ર 7 સીટો જ મળી છે. એવી જ રીતે વારાણસીમાં સપાને 15 અને ભાજપને 7 સીટો મળી છે. ભદોહીમાં સપાને 10 અને ભાજપને માત્ર 4 સીટો મળી છે.
બીજી બાજુ, મુખ્યમંત્રી યોગીનું જે ગઢ માનવામાં આવે છે તેવા ગોરખપુર અને બસ્તી મંડલમાં જિલ્લા પંચાયતની કુલ 350 સીટો છે. જ્યાં સપાને 78 સીટો મળી છે અને ભાજપને 63. જ્યાં બસપાએ 33, કોંગ્રેસે 8 અને નિર્દલ 159 સીટ પર જીત મેળવી ચૂક્યું છે. સિદ્ધાર્થ નગરમાં સપા 16 તો ભાજપને 9 તથા દેવરિયામાં સપાને 15 અને ભાજપને માત્ર 7 સીટો મળી છે.
પૂર્વાંચલમાં પંચાયતની ચૂંટણીના પરિણામો
પૂર્વાંચલના કુશીનગર, દેવરિયા, ગોંડા, આજમગઢ, અયોધ્યા, વારાણસી, પ્રતાપગઢ, જૌનપુર, મહારાજગંજ, બસ્તી, પ્રયાગરાજમાં જે રીતે સપા માત્ર નંબર વન પાર્ટી જ નહીં, પણ બહુમતીથી ઘણી નજીક આવી પહોંચી છે. ભાજપ પૂર્વાંચલમાં 118 સીટો જીતવાનો દાવો કરે છે પણ સપા મુજબ તેમની પાસે 171 સીટો પર જીત હાંસલ કરી છે. સાથે જ બસપાએ પૂર્વાંચલમાં પશ્ચિમી યુપી પછી સૌથી વધુ 90 સીટો જીતી છે.
પૂર્વાંચલની પંચાયતની ચૂંટણીના પરિણામો ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો છે. કારણકે આ પરિણામો 2022 માટે સેમી ફાઇનલ તરીકે ગણવામાં આવી રહયા છે. 2017માં ભાજપે આ જ વિસ્તારોમાં ભવ્ય વિજય મેળવી પોતાનો 14 વર્ષનો સત્તાનો વનવાસ પૂરો કર્યો હતો અને યોગીજીને પૂર્વાંચલથી સત્તાનું સુકાન સોંપવામાં આવ્યું હતું.
ભાજપ માટે વધી રહી છે ચિંતા
આ પરિણામોને 2022ના સેમિફાઈનલ તરીકે જોવા જોઈએ. કારણકે આઠ મહિના પછી વિધાનસભા ચુંટણી છે. પૂર્વાંચલને લઈ યોગી અને તેમની પાર્ટી ઘણા જ વિશ્વાસમાં હતા, પરંતુ જે રીતે પંચાયતની ચુંટણીમાં હાર મળી છે, તેનાથી ભાજપની મુશ્કેલીઓ ઘણી વધી ગઈ છે. તેના પાછળનું મુખ્ય કારણ એ છે કે પૂર્વાંચલ એ સપાનું મુખ્ય ગઢ રહી ચૂક્યું છે, અને અહિયાના મતદારો કોઈ પણ પાર્ટી સાથે કાયમ નથી રહેતા. પંચાયતની ચુંટણીમાં સપાએ આ વિસ્તારમાં પ્રવેશ કર્યો છે. તેથી જ, સીએમ યોગી અને પીએમ મોદીના પોતાના વિસ્તારમાં ભાજપની હાર થવી એ પાર્ટી માટે ઘણો ચિંતાનો વિષય રહ્યો છે.
યુપીની 33 ટકા સીટો પૂર્વાંચલમાં આવે છે.
જોવા જઈએ તો, પૂર્વાંચલમાં જીત મેળવ્યા બાદ જ કોઈ પણ પાર્ટી સમગ્ર યુપી પર જીત હાંસલ કરી શકે છે. કારણકે રાજયની 33 ટકા સીટો આ વિસ્તારમાં છે. પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી પૂર્વાંચલનાં મતદારો ક્યારેય કોઈ એક પાર્ટી સાથે કાયમ નથી રહ્યા. તેઓ દરેક ચૂંટણીમાં એક પક્ષને મૂકી બીજા પક્ષ સાથે જોડાઈ જાય છે. સપા 2012માં અને બસપા ૨૦૦૭ માં પૂર્વાંચલમાં જીત મેળવ્યા બાદ પણ પોતાની પકડ મજબૂત બનાવી શકી નહોતી. 2017માં ભાજપે આ વિસ્તરોમાં બધાને ધૂળ ચટાવી હતી. પરંતુ 2019 લોકસભામાં ચાર સીટો ગુમાવી હતી અને પંચાયત ચુંટણીમાં જે રીતે ભાજપને હાર મળી છે, તેનાથી વિપક્ષ ઘણું જોશમાં આવી ગયું છે.
પૂર્વાંચલમાં 28 જિલ્લાઓની 164 સીટો આવે છે.
પૂર્વાંચલમાં 28 જિલ્લાઓ આવે છે. જે રાજ્યની રાજનૈતિક દિશા અને દશા નક્કી કરે છે. જેમાં વારાણસી, જૌનપુર, ભદોહી, મિર્ઝાપુર, સોનભદ્ર, પ્રયાગરાજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, મહારાજગંજ, સંતકબીરનગર,બસ્તી, આજમગઢ, માઉ,ગાજીપુર, બલિયા, સિધ્ધાર્થનગર, ચંદૌલી, અયોધ્યા, ગોંડા, બલરામપુર, શ્રાવસ્તી, બહારાઈચ, સુલ્તાનપુર, અમેઠી, પ્રતાપગઢ, કૌશામબી, અને આંબેડકર નગર સામેલ છે. આ 28 જિલ્લાઓમાં કુલ 164 વિધાનસભાની સીટ સામેલ છે.
પૂર્વાંચલમાં દરેક ચૂંટણીમાં બદલાય છે મિજાજ
ભાજપે 2017ની ચુંટણીમાં પૂર્વાંચલની 164 સીટમાંથી 115 સીટ પર જીત મેળવી હતી. જ્યારે સપાએ 17 બસપા એ 14 અને કોંગ્રેસને 2 અને અન્યને 16 સીટ મળી હતી. આવી જ રીતે 2012ની ચુંટણીમાં સપાને 102 સીટ મેળવી હતી, જ્યારે ભાજપે 17, બસપાએ 22, કોંગ્રેસે 15 અને અન્યએ 8 સીટો મેળવી હતી. જ્યારે 2007 માં માયાવતી પૂર્ણ બહુમત સાથે સત્તામાં આવ્યા હતા જે પૂર્વાંચલ માટે મહત્વ સાબિત થયું હતું. બસપા 85 સીટ જીતવામાં સફળ થયું હતું, જયારે સપા 48, ભાજપ 13, કોંગ્રેસ 9 અને અન્યને 4 સીટ મળી હતી.
ભાજપે 2017 માં ભલે 164 સીટ પર વિજય મેળવ્યાનો રેકોર્ડ બનાવ્યો હોય, પરંતુ કેટલાય જિલ્લાઓમાં પાર્ટી સપાથી પાછળ રહી ગઈ હતી. ભાજપ આજમગઢની 10 માંથી માત્ર એક સીટ, જૌનપુરમાં 9 માંથી 4 સીટ, ગાજીપુરની 7 માંથી 3, આંબેડકરનગરની 5 માંથી માત્ર 2 અને પ્રતાપગઢની 7 માંથી માત્ર 2 જ સીટ જીતી શકી હતી. આ માટે પૂર્વાંચલનાં પંચાયતની ચુંટણીનાં પરિણામો ભાજપ માટે ચિંતાનો પાઠ ભણાવી રહ્યા છે.
પૂર્વાંચલને જીત્યા વિના સત્તામાં આવવું મુશ્કેલ છે
સપા પ્રમુખ અખિલેશ યાદવની નજર પૂર્વાંચલ પર છે. તે પોતે આજમગઢનાં સાંસદ છે. સાથે જ યોગીજી પોતે પૂર્વાંચલથી છે અને 2017ની ચુંટણીમાં પૂર્વાંચલે જ તેમને ખુરશી પર બેસાડ્યા છે. પંચાયતની ચુંટણીમાં હાર્યા બાદ ભાજપ એટલું સમજી ગઈ છે કે જો 2022 માં વિધાનસભા ચુંટણી જીતવી હોય તો પૂર્વાંચલને સાચવીને રાખવું પડશે. હવે એ જોવું રહ્યું કે 2022 માં લોકોનો મિજાજ બદલાય છે કે નહીં?