મંગળવારે ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ પાર્ટી નેતાઓને કહ્યું કે, તેઓ એક મજબૂત લડાઈ માટે તૈયાર રહે.
દિલ્હીમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ
લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપની બેઠક
પીએમ મોદીએ પાર્ટી નેતાઓને કરી હાંકલ
પીએમ મોદીએ કહ્યું કે, જેમ જેમ પાર્ટી સફળતાની સીડીઓ ચડશે, તેમ જ વિપક્ષી પાર્ટીઓ દ્વારા વધુ હુમલાઓ કરવામાં આવશે. સંસદ પરિસરમાં આ બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં ત્રણ રાજ્યોમાં જીત મેળવવા બદલ પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી.
જનતા વચ્ચે જશે ભાજપ સાંસદ
પ્રધાનમંત્રીએ ભાજપ સંસદીય દળની બેઠક દરમિયાન પાર્ટી સાંસદોને સલાહ આપી કે તેઓ 9 વર્ષ દરમિયાન સરકાર દ્વારા કરાયેલા કામોને જનતા વચ્ચે લઈ જશે અને પોતપોતાના વિસ્તારોમાં તેનો પ્રચાર કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, 15 મેથી 14 જૂન સધુ તમામ સાંસદ પોતપોતાના સંસદીય ક્ષેત્રોમાં જનતા વચ્ચે જશે.
જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીને હવે એક વર્ષ બચ્યું છે. એજ કારણ છે કે વિપક્ષ જ્યારે માહોલ બનાવવા માટે એકઠું થયું છે, ત્યારે સરકાર પણ જનતા વચ્ચે પોતાના કામોને પહોંચાડવામાં લાગી છે.
રાહુલ ગાંધી અને અદાણી મામલે વિપક્ષના પ્રહાર
જણાવી દઈએ કે, માનહાનિ મામલે રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા ગયા બાદ વિપક્ષ સરકાર વિરૂદ્ધ ઉગ્ર થઈ ગયું છે. વિપક્ષ સરકાર વિરૂદ્ધ મોટા પ્રમાણમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. વિપક્ષ રાહુલ ગાંધીની સંસદ સદસ્યતાને લઈને લોકશાહી પર હુમલો ગણાવી રહ્યું છે. ત્યારે ભાજપ રાહુલ ગાંધી પર ઓબીસી વર્ગનું અપમાન કરવાનો આરોપ લગાવી રહ્યું છે. આ પહેલા રાહુલ ગાંધીએ લંડનમાં આપેલા નિવેદન પર પણ હોબાળો ચાલી રહ્યો છે. વિપક્ષ જ્યારે અદાણી મામલે જેસીપીની રચનાની માંગ કરી રહ્યું છે ત્યારે સત્તા પક્ષ રાહુલ ગાંધીને લંડનમાં અપાયેલા નિવેદન પર માફીની માગ કરી રહ્યું છે. તેને લઈને બજેટ સત્ર દરમિયાન સદન પણ ચાલી ન શક્યું.