લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે ગુજરાતની 26 બેઠકોમાંથી 16 બેઠકોના ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી છે. જેમાં કેટલીક બેઠકો પર વર્તમાન સાંસદોની ટિકિટ કાપવામાં આવી છે. જેને લઈને ભાજપમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઇને ગુજરાતના નારાજ નેતાઓને મનાવવાની જવાબદારી ભાજપ પ્રદેશ પ્રભારી ઓમ માથુરને સોંપવામાં આવી છે.
રાજ્યમાં નારાજ નેતાઓને મનાવવા ઓમ માથુર ગુજરાત આવ્યા છે. સૂત્રોને મળતી માહિતી મુજબ ભાજપમાં બાકીની 10 બેઠકો માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેમાં બાકી રહેલી 10 બેઠકોના વર્તમાન સાસંદોની ટિકિટ કપાવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
આથી ટિકિટ કપાવવાની શક્યતાઓને લઇને પણ કેટલાક નેતાઓ નારાજ થયા છે, ત્યારે આ નેતાઓની નારાજગી મુદ્દે પણ ઓમ માથુર પ્રદેશ નેતાઓ સાથે ચર્ચા કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આમ, પાણી પહેલા પાળ બાંધવા માટે ભાજપ દ્વારા પ્રદેશ પ્રભારી ઓમ માથુરને ગુજરાત મોકલવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, ઓમ માથુર ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન અંગે તેમજ અમિત શાહના કાર્યક્રમો અંગે પણ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચા કરશે. જેમાં સૂત્રોને મળતી માહિતી મુજબ અમિત શાહ 30 માર્ચે ગાંધીનગર ખાતે રોડ શો બાદ પોતાનું ઉમેદવારી પત્ર ભરે તેવી સંભાવના છે.