આ રેલીમાં ભાજપના બળવાખોર નેતા ગણાતા શત્રુઘ્ન સિંહાએ કહ્યુ કે રફાલ ડીલ પર હકીકત દબાવવામાં આવી રહ્યા છે. સરકાર આમ કરશે તો દેશની જનતા ખરેખર કહેશે કે ચોકીદાર ચોર છે. અટલજીના જમાનામાં લોકશાહી હતી. જ્યાં સુધી રફાલ અંગે જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી ચોકીદાર ચોર છે. શત્રુધ્ન સિંહાએ આગળ કહ્યું કે આજે માનનીયના જમાનામાં તાનાશાહી છે. જો સત્ય કહેવું બળવાખોરી હોય તો હું બળવાખોર છું. ચૂંટણી આવતાની સાથે વાયદા શરૂ કરવામાં આવ્યા છે. સરકારે મેઈડ ઈન ઈન્ડિયાની મોટી વાતો કરી પણ આજે મેઈડ ઈન ચાઈના ચાલી રહ્યું છે.
હાલની સરકાર તાનાશાહી છે
શત્રુધ્ન સિંહાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે "યશવંત સિંહાએ મને કહ્યુ કે મને ભાજપમાંથી નિકાળી દેવામાં આવશે. મારી જવાબદારી જનતા પ્રત્યે વફાદાર રહેવાની છે. વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ હોય છે. તેમણે કહ્યું હતું કે હાલની ભાજપ સરકારમાં તાનાશાહી છે. અટલજીની સરકારમાં લોકશાહી હતી.
નોટબંધી પર પ્રહાર
નોટબંધીનો ઉલ્લેખ કરીને બૉલીવુડના ઍક્ટરે કહ્યું હતું કે કંઈ વિચાર કર્યા વગર રાતોરાત નોટબંધીની જાહેરાત કરી દીધી. નોટબંધીથી દેશ ઉભો પણ ન હતો થયો ત્યાં GSTનો નિર્ણય લગાવી દેવાયો. નરેન્દ્ર મોદીએ પોતાના CM પદના કાર્યકાળ દરમિયાન GSTનો વિરોધ કર્યો હતો. નોટબંધી અને GST એ લીમડા પર કારેલા જેવી સ્થિતિ હતી.
રફાલ ડીલ લઈને સંભળાવ્યું
રફાલ ડીલ મામલે તેમણે કહ્યું હતું કે HAL જેવી કંપનીને છોડીને બીજી કંપનીને કોન્ટ્રાક્ટ કેમ અપાયો? ચૂંટણીનો સમય છે એટલે નવા નવા વાયદાઓ થઈ રહ્યા છે. વાયદા અને તેને લાગૂ કરવાની વચ્ચે ઉંડી ખીણ છે. આપણે જવાબ માંગીશુ તો આપણને અયોધ્યા બતાવશે.