દૂધ એ એક એવું કુદરતી ખાદ્ય પદાર્થ છે કે જેમાં સરળતાથી ભેળસેળ કરી શકાય છે. કેટલાક લોકો દૂધમાં એકસાથે એકથી વધારે પદાર્થો કે રસાયણોનો સુમેળ કરી ભેળસેળ કરે છે અને તેની દૂધમાં ચકાસણી મુશ્કેલ બનાવે છે. વધુ નફો કમાવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરે છે. ત્યારે આજે આ મુદ્દે લોકસભામાં ઉઠવા પામ્યો હતો.
રાજ્યમાં તમામ વસ્તુઓમાં ભેળસેળની ઘટનાઓ સામે આવે છે તો કેટલીક તો સાબિત પણ થઇ ચૂકી છે. રાજ્યમાં દૂધાળા પશુઓ કરતા તેનું ઉત્પાદન વધુ થઇ રહ્યું છે. તો સ્પષ્ટ છે કે દૂધના નામે મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવી રહી હોય, યુરિયા અને અન્ય ખતરનાક કેમિકલ દ્વારા બનાવટી દૂધ બનાવીને લોકોના આરોગ્ય સાથે ખેલ ખેલાઇ રહ્યો છે. ત્યારે આ મામલો લોકસભામાં ઉઠ્યો હતો.
લોકસભામાં નકલી અને ભેળસેળવાળા દૂધનો મુદ્દો ઉઠ્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં મુદ્દો ઉઠાવતા જણાવ્યુ હતું કે દૂધ દૈનિક જરૂરિયાતની વસ્તુ છે જેનો સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. WHO એ ભારતને એડવાઇઝરી બજાવી છે. ભેળસેળવાળા દૂધથી સેવન કરનારને કેન્સર થઇ શકે છે. ભેળસેળવાળુ દૂધ યુરિયા અને અન્ય ખતરનાક કેમિકલથી બને છે. મોટા શહેરોમાં ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો આ ધંધો કરે છે. આ ધંધો કરનાર સામે કડક કાયદો લાવવામાં આવે. ફૂડ અને સેફ્ટી એક્ટને કડક રીતે લાગુ કરવામાં આવે તેમ વસાવાએ જણાવ્યુ હતું.
દૂધમાં ભેળસેળ માટે વપરાતા કેટલાક પદાર્થો અને રસાયણો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જુઓ તેમની શું થાય છે આડઅસર
ફોર્મેલીન - આ એક ઝેરી અને જીવલેણ રસાયણ છે, તેનાથી કેન્સર પણ થાય છે.
યુરિયા - જેનાથી પેટ અને જઠરની બીમારીઓ થાય છે
હાઈડ્રોજન પેરોક્સાઈડ - પ્રોટીનની ગુણવત્તાને અસર કરે છે. પ્રજીવકો તથા સલ્ફર ધરાવતા એમિનો એસિડની ઉપયોગિતાને અસર કરે છે.
ડિટર્જન્ટ - પેટનો દુખાવો, પેટના ચાંદા વગેરે જેવા વિકારો પેદા કરે છે.
કોસ્ટીક સોડા - તે એક કેન્સરકારક રસાયણ ગણાય છે. પેટ અને ચામડીના દર્દો પેદા કરી શકે છે. ઉપરાંત પ્રોટીનની ગુણવત્તાને પણ અસર કરે છે.
સ્ટાર્ચ - ભેળસેળમાં સાવ સસ્તા પ્રકારનું સ્ટાર્ચ વાપરવામાં આવે છે, જે રોગજન્ય જીવાણુંઓ ધરાવી શકે છે.
પાણી - મોટાભાગે દૂષિત અને રોગજન્ય જીવાણુંઓ ધરાવતું પાણી વાપરવામાં આવે છે, જે ઝાડા, ઊલટી, પેટના વિકારો જેવા પાણીજન્ય રોગો પેદા કરી શકે છે.
મેલામાઇન - મૂત્રપિંડ અને પ્રજનનતંત્રનાં રોગો પેદા કરે છે, તેની અસરથી બાળકોની મૂત્રપિંડ સંપૂર્ણપણે કામ કરતી બંધ થઈ શકે છે.
તેલ અને વનસ્પતિ ઘી - સસ્તા પ્રકારનું અને નીચી ગુણવત્તાવાળું ખાદ્ય તથા અખાદ્ય તેલ ઉમેરવામાં આવે છે, જે સ્વાસ્થ્યને વિવિધ રીતે હાનિકારક છે.