ગુજરાતના ગણ્યા-ગાંઠ્યા લોકો જ IPS, IAS અધિકારી છે, મોટા ઉદ્યોગોના કિ-પોસ્ટમાં એક ટકા પણ ગુજરાતી નહીં: મનસુખ વસાવા
શિક્ષણ મુદ્દે મનસુખ વાસવાનું નિવેદન
"નર્મદામાં શિક્ષણનું સ્તર નીચું"
"સમગ્ર ગુજરાતમાં પણ શિક્ષણ સ્તર ઓછું"
એક તરફ ગુજરાતમાં ચૂંટણી માહોલ જામી રહ્યો છે. જેમાં સૌથી વધુ વિપક્ષ શિક્ષણને લઈ ભાજપ સરકારને ઘેરી રહ્યું છે. સ્માર્ટ શાળાથી માંડી ઓરડા સુધી વિપક્ષ ત્યાં જઈ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની ખામીઑ કાઢી રહ્યું છે. તેમાંય ભાજપના સાંસદે જ સરકારેને શિક્ષણ મુદ્દે ઘેરી છે. હંમેશા પોતાના પક્ષ વિરોધી નિવેદનોથી વિવાદોમાં રહેતા મનસુખ વાસવાએ ગુજરાતના શિક્ષણને લઈ નિવેદન આપ્યું છે જેમાં શિક્ષણનું નીચું સ્તર હોવાની વાત કબૂલી છે.
નર્મદામાં કારકિર્દી સેમિનારના આયોજનમાં આપ્યું નિવેદન
નર્મદાના રાજપીપળામાં બાળકો માટે કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનસુખ વસાવાએ ગુજરાતના શિક્ષણના સ્તર અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર ખૂબ નીચું છે. નર્મદાની સાથે સમગ્ર ગુજરાતના શિક્ષણનું સ્તર પણ નીચું છે. જેના પૂરાવા પણ મારી પાસે છે.
જુઓ મનસુખ વસાવા ગુજરાતના શિક્ષણને લઈ શું શું બોલ્યા?
વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાતના ગણ્યા-ગાંઠ્યા લોકો જ IPS અને AIS અધિકારીઓ બને છે. અત્યારે ગુજરાતમાં જેટલા પણ IPS અને AIS અધિકારીઓ છે, તે તમામ પ્રમોશનથી બન્યા છે. ગુજરાતની બેન્કોમાં મેનેજર પણ અન્ય રાજ્યના જોવા મળે છે. સાથે ગુજરાતના મોટા ઉદ્યોગોના કિ-પોસ્ટમાં પણ બહારના રાજ્યો વધુ જોવા મળે છે. જેનો સર્વે મેં ખૂદ કર્યો છે.રેલવેની ભરતીમાં ગુજરાતના ગણ્યા-ગાંઠ્યા લોકો જ આવે છે.ONGCની પરીક્ષામાં પણ અન્ય રાજ્યના લોકોની પસંદગી થાય છે. મોટા ઉદ્યોગોના કિ-પોસ્ટમાં એક ટકા પણ ગુજરાતી નહીં એમાંય કિ-પોસ્ટના અધિકારીઓનો પગાર કલેક્ટર કરતા પણ ઉંચા હોય છે.
ભરતીમાં સ્થાનિકોને મહત્વ અપાવાનો મુદ્દો પણ મનસુખ વસાવાએ ઉછાળ્યો હતો
આ પહેલા 24 એપ્રિલના રોજ પણ મનસુખ વસાવા ભરતી પ્રક્રિયામાં થતી ગેરરીતિ અને સ્થાનિક ઉમેદવારોને લઈ નિવેદન આપ્યું હતું કે ઘણી એવી ભરતીઓ છે જેમાં સ્થાનિક ભાષામાં નિપુણ ન હોય તેવાંની ભરતી કરવામાં આવે છે. ખોટી રીતે પસંદ કરેલા ઉમેદવારોની ભરતી રદ કરવાની મનસુખ વસાવાએ માંગ કરી હતી. તાજેતરમાં જ 660 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તેઓએ પત્રમાં જણાવ્યું કે, 660 ઉમેદવારોમાંથી માત્ર 15 ટકા જ સ્થાનિક ઉમેદવારો અને 85 ટકા જેટલાં ઉમેદવારો અન્ય રાજ્યોના એટલે કે તેઓ સ્થાનિક નથી. ભરતી પ્રક્રિયામાં અન્ય રાજ્યોના ઉમેદવાર હોવાનો મનસુખ વસાવા દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો.