રાજ્યસભાના ભાજપના સાંસદ અભય ભારદ્વાજનું ગઇકાલે ચેન્નઇની હોસ્પિટલમાં નિધન થયું હતું. ત્યારબાદ આજે તેમના પાર્થિવદેહને રાજકોટ લવાયો હતો. રાજકોટ તેમના નિવાસસ્થાને પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં કોરોનાના કારણે માત્ર પરિવારજનો જ જોડાયા હતા.
સાંસદ અભય ભારદ્વાજની અંતિમ યાત્રા
અંતિમયાત્રામાં મુખ્યમંત્રી અને 50 જેટલા પરિવારજનો જ જોડાયા
કોરોનાના કારણે માત્ર પરિવારજનો જ અંતિમયાત્રામાં જોડાયા
આજે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજના પાર્થિવદેહને ચેન્નઈથી અમદાવાદ એરપોર્ટ લવાયો હતો. જ્યાંથી તેમના પાર્થિવદેહને બાય રોડ રાજકોટ તેમના નિવાસસ્થાને લઇ જવાયો હતો. જ્યાં શાસ્ત્રોક્ત વિધિ બાદ પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાર્થિવ દેહના દર્શન કરીને પ્રદક્ષિણા કરી હતી. તો અહીં મોટી સંખ્યામાં લોકો પણ તેમના દર્શન માટે પહોંચ્યા હતા. ત્યારબાદ કોવિડ ગાઇડલાઇન અનુસાર તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં અભય ભારદ્વાજના 50 જેટલા પરિવારજનો અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા. અંતિમયાત્રા દરમિયાન અભય ભારદ્વાજના પત્ની રડી પડ્યા હતા. તો પરિવાર પણ શોકમગ્ન થઇ ગયો હતો.
અભય ભારદ્વાજના નિધનથી ભાજપને મોટી ખોટઃ મુખ્યમંત્રી
અંતિમયાત્રામાં જોડાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, અભય ભારદ્વાજ જાહેરજીવનમાં ખુબ સક્રિય હતા. તેમણે કોરોના સામે લડત આપી. અભય ભારદ્વાજના નિધનથી ભાજપને મોટી ખોટ.
ભાજપના નેતાઓએ પાર્થિવદેહના કર્યા દર્શન
મુખ્યમંત્રી રૂપાણી, આર.સી. ફળદુ, જયેશ રાદડિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ધનસુખ ભંડેરી સહિતના નેતાઓએ અભય ભારદ્વાજના પાર્થિવદેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અહીં રાજકોટ ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
મહત્વનું છે કે, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ગઇકાલે નિધન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેટલાક નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
કોણ હતા અભય ભારદ્વાજ?
અભય ભારદ્વાજે અગ્નિકાલ ફિલ્મમાં પણ રોલ કર્યો હતો. 1977થી જનતા પાર્ટીથી સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. કુરૂક્ષેત્રમાં અખિલ ભારતીય લો ડિબેટમાં 41 યુનિવર્સિટીના હરીફોની વચ્ચે પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. 1977માં જનતા પાર્ટીના શાસન વખતે ૨૩ વર્ષની વયે રાજકોટ જિલ્લા જનતાપક્ષના મંત્રી બન્યા હતા.
ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી પણ બન્યા હતા. વકીલાત દરમિયાન 210 જેટલા જૂનિયર હોવાનો વિક્રમ તેમના નામે હતો. શશિકાંત માળીને ફાંસીના માચડે ચડાવવામાં અભય ભારદ્વાજનો મહત્વનો રોલ હતો. રાજકોટ બાર એસો.માં પ્રમુખપદ માટે બિનહરીફ ચૂંટાઈને પ્રમુખ રહ્યા હતા. કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણૂક પસંદગી સમિતિના સભ્ય તરીકે સેવા આપી હતી.
આફ્રિકાના યુગાન્ડામાં થયો હતો જન્મ
અભયકુમાર ગણપતરામ ભારદ્વાજનો જન્મ 2 એપ્રિલ 1954નાં રોજ પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીઝા શહેરમાં થયો હતો. તેઓ નાનપણથી અભ્યાસમાં રૂચિ ધરાવતાં હતા. જેને કારણે યુગાન્ડા સરકારે તેઓને ખાસ શિષ્યવૃતિ એનાયત કરી હતી.
18 વર્ષે હિન્દુસ્તાનના સૌથી યુવાન સબ એડીટર બન્યા હતાં
તેઓ મુંબઈમાં બે વર્ષ વિજ્ઞાન વિદ્યાશાખાનો અભ્યાસ કરી સંજોગોના કારણે એરોનોટીકલ એન્જિનિયરીંગ છોડી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજી ફિલોસોફીનો અભ્યાસ કરી સ્નાતક થયા હતાં. માત્ર 17 વર્ષની વયે જનસતામાં જોડાયા અને 18 વર્ષે હિન્દુસ્તાનના સૌથી યુવાન સબ એડીટર બન્યા હતાં.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત મિત્ર
તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત મિત્ર હતા અને તેઓ પરશુરામ સંસ્થાનના સ્થાપક પણ હતા. તેમના પરિવારમાંથી તેઓ અને નીતિન ભારદ્વાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. લો કમિશનના તેઓ સદસ્ય પણ રહી ચુક્યા છે. કોમી રમખાણો વખતે સરકાર તરફથી તેઓ ઘણા કેસ પણ લડી ચૂક્યા છે. સ્વ.ચીમનભાઇ શુક્લના ભાણેજ છે. હાલ તેઓ રાજ્યના નામાંકિત ધારાશાસ્ત્રી તરીકે ઓળખ ધરાવે છે.