ભાજપના તેલંગાણા ધારાસભ્ય ચેતવણી આપી હતી કે જો રાજ્ય સરકાર સ્ટેન્ડ અપ કોમેડિયન મુનાવર ફારુકીને 20 ઓગસ્ટે હૈદરાબાદમાં શો કરવાની મંજૂરી આપશે તો તેના ગંભીર પરિણામો આવશે.
સ્ટેન્ડ અપ કોમેડિયન મુનાવર ફારુકીની સમસ્યા વધી
ભાજપના ધારાસભ્યએ શોની મંજુરી ન આપવા કહ્યું
મુનાવરે 20 ઓગસ્ટે હૈદરાબાદમાં શોની જાહેરાત કરી હતી
ભાજપના તેલંગાણા એકમે ગુરુવારે ચેતવણી આપી હતી કે જો રાજ્ય સરકાર સ્ટેન્ડ અપ કોમેડિયન મુનાવર ફારુકીને 20 ઓગસ્ટે હૈદરાબાદમાં શો કરવાની મંજૂરી આપશે તો તેના ગંભીર પરિણામો આવશે. ગોશમહલ મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે "જોઈ લેજો જો તેમને હૈદરાબાદમાં શો માટે બોલાવવામાં આવે તો શું થાય છે, જ્યાં પણ કાર્યક્રમ હશે ત્યાં તેને માર મારીશું. સ્થળ ગમે તે હોય, અમે તેને આગ લગાવી દઈશું."
હિંદુ દેવી દેવતાઓના અપમાન કર્યા હતા
એક અહેવાલ અનુસાર, ભાજપના નેતાએ કહ્યું, "ભૂતકાળમાં પણ, ફારૂકીએ હિન્દુ દેવતાઓની મજાક ઉડાવી હતી, જેનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. જો તે તેલંગાણા આવશે તો અમે તેને આપણા ભગવાન રામ સાથે દુર્વ્યવહાર કરવા બદલ ચોક્કસ પાઠ ભણાવીશું. ફારૂકીએ બુધવારે હૈદરાબાદમાં એક શો કરવાના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ પહેલા ફારૂકી 9 જાન્યુઆરીએ હૈદરાબાદમાં પોતાનો શો 'ધનધો' કરવાનો હતો. પરંતુ કોવિડ -19 ના વધતા જતા કેસોને કારણે તે રદ કરવામાં આવ્યો હતો. તે સમયે પણ, તેલંગાણા ભાજપે જાહેરાત કરી હતી કે તે ફારુકીનો શો "કોઈપણ કિંમતે" થવા દેશે નહીં.
ગંભીર ટિપ્પણી કરવાના આરોપ
પ્રદેશ ભાજપ અધ્યક્ષ બંડી સંજયે યુવાનોને ફરુકીનો શો બંધ કરવાની અપીલ કરી હતી, જ્યારે ધારાસભ્ય રાજા સિંહે પોલીસ મહાનિર્દેશક એમ મહેન્દ્ર રેડ્ડીને પત્ર લખીને આ શોની મંજૂરી ન આપવા જણાવ્યું છે. સિંહે કહ્યું કે ફારૂકીની અગાઉ હિન્દુ દેવતાઓ સામે નફરત ફેલાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી અને 37 દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી. સિંહે કહ્યું કે ફારૂકીએ જાન્યુઆરીમાં ઈન્દોરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ પણ ગંભીર ટિપ્પણી કરી હતી. તેમણે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA), ગોધરા કાંડ અને કારસેવકો વગેરે વિરુદ્ધ પણ ટિપ્પણી કરી છે."
આ પહેલા પણ ઘણા શો કેન્સલ કરવામાં આવ્યા
ડિસેમ્બરમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના પુત્ર અને રાજ્યના ઇન્ફર્મેશન ટેકનોલોજી પ્રધાન કેટી રામા રાવે ફારૂકી અને કુણાલ કામરા જેવા સ્ટેન્ડ-અપ કોમેડિયન્સને હૈદરાબાદમાં શો કરવા આવકાર્યા હતા. કેટીઆરએ કહ્યું હતું, "હૈદરાબાદ ખરેખર એક મહાનગર છે અને સ્ટેન્ડ-અપ કોમેડિયન્સને ખુલ્લું આમંત્રણ આપે છે. અમે મુનાવર ફારુકી અને કુણાલ કામરાના શો એટલા માટે કેન્સલ નથી કરતા કારણ કે અમે તેમની સાથે રાજકીય રીતે સંકળાયેલા નથી." ફારૂકી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ હતો. ગુજરાત, ગુરુગ્રામ, છત્તીસગઢ અને ગોવામાં પણ તેમના શો રદ કરવામાં આવ્યા હતા.