આરોપીના પરિવારની પરિસ્થિતિ બરાબર નથી એટલે કેસ પરત ખેંચ્યો- યોગેશ પટેલ
માંજલપુરનાં ધારાસભ્યની કાર સળગાવવા મામલે ધારાસભ્ય દ્વારા માનવતા દાખવી છે. ધારાસભ્ય યોગેશ પટેલલે કાર સળગાવનાર વિધર્મીને માફ કર્યો છે. આરોપીનાં ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માફ કર્યો છે. આરોપીને માફ કર્યા બાદ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા નિવેદન આપ્યું હતું કે, આરોપી મોહમ્મદ અનિસ મોહમ્મદહનીફ દારૂવાલા સામેને કેસ પરત ખેંચ્યો છે. આરોપીના પરિવારની પરિસ્થિતિ બરાબર નથી એટલે કેસ પરત ખેચ્યો છે. આરોપીના પિતાની તબિયત સારી રહેતી નથી. આરોપીનાં પરિવારને ધ્યાનમાં રાખીને તેને માફ કર્યો છે. ત્યારે તા. 27 જાન્યુઆરી 2022 ના રોજ આરોપીએ કાર સળગાવી હતી. કાર સળગાવવાની રાવપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાઈ હતી.
ગરીબ માણસ ઉપર ક્ષમા થવી જોઈએ એવું હું માનું છું એટલે મેં કેસ પાછો ખેંચી લીધોઃ ધારાસભ્ય
આ બાબતે ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, મારી માલિકીની ઈનોવા કાર જેનો નં. જી.જે. 6 એડી 8373 વર્ષોથી હું જ્યુબલી પાર્ક પાસે પાર્ક કરુ છું. તા. 27.1.2022 નાં રોજ મોડી રાત્રે એક વ્યક્તિએ ગાડી સળગાવેલી. પોલીસે એને પકડેલો પણ છે. એની ઉપર અમે કેસ પણ કરેલો છે. અને રાવપુરા પોલીસ ચોકીમાં આ કેસ ચાલતો હતો. પરંતું આ જે મુસ્લિમ બિરાદર છે. તેનાં પિતાની હાલત બઉ ખરાબ છે. ત્યારે આ કેસમાં સાત વર્ષની સજા થાય એવી કલમો હતી. પરંતું ગરીબ માણસ ઉપર ક્ષમા થવી જોઈએ એવું હું માનું છું. જો કદાચ કેસ ચાલ્યો હોત અને તેને સજા થઈ હોત તો તેનો પરિવાર વિખેરાઈ ગયો હોત. ત્યારે નાના માણસ પર દયા રાખવી જોઈએ. આપણાથી ભૂલચૂકથી પણ એને કોઈ સજા ન થાય એવું મારૂ માનવું છે. એટલે મેં કેસ પાછો ખેંચી લીધો.