એક તરફ કોરોના વાયરસના કહેરથી દુનિયાભરના લોકો ચિંતિત છે અને તેનાથી બચવા માટેના ઉપાયો અજમાવી રહ્યા છે ત્યારે ઉત્તરપ્રદેશના ભાજપના ધારાસભ્યએ આ જીવલેણ વાયરસના ડરને નકારી કાઢ્યો છે. લોનીના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરનો દાવો છે કે કોરોના વાયરસ તેમના વિધાનસભા વિસ્તારમાં ઘૂસી શકશે નહીં. ધારાસભ્યએ કારણ જણાવ્યું છે કે લોનીમાં ગાયોની સંખ્યા સૌથી વધારે છે તેથી આ શહેરમાં કોરોના વાયરસની અસર હોઈ શકે નહીં.
કોરોનાની અસરને લઈને ભાજપના ધારાસભ્યનું નિવેદન
લોનીમાં નહીં પ્રવેશી શકે કોરોના વાયરસઃ નંદકિશોર ગુર્જર
લોનીમાં નહીં જોવા મળે કોરોનાની અસર
ધારાસભ્યએ જણાવ્યું કારણ અને ગાયના ફાયદા
તેઓએ આગળ ગાયના ફાયદા જણાવતાં કહ્યું છે કે જ્યાં ગાય હોય છે ત્યાં કોઈ પણ પ્રકારનો વાયરસ આવી શકતો નથી. ગાય એક ફરતી ડોક્ટર છે. જે ઘરમાં ગાય હોય છે ત્યાં કેન્સર જેવી બીમારી પણ આવી શકતી નથી.
આસામથી ભાજપના ધારાસભ્યનું નિવેદન
આ અગાઉ આસામમાં ભાજપના ધારાસભ્ય સુમન હરિપ્રિયાએ સોમવારે દાવો કર્યો હતો કે ગૌમુત્ર અને ગોબરથી કોરોના વાયરસની સારવાર શક્ય છે. ભાજપના ધારાસભ્યએ કહ્યું આપણે જાણીએ છીએ કે ગોબરના અનેક ફાયદા છે અને ગૌમૂત્રનો છંટકાવ અનેક જગ્યાને શુધ્ધ કરી શકે છે. મને લાગે છે કે તે કોરોનાની સારવાર પણ કરી શકશે.
PM મોદી અને રાષ્ટ્રપતિ નહીં કરે હોળીની ઉજવણી
કોરોના વાયરસની અસરમાં ઓછામાં ઓછા 70 દેશ આવી ચૂક્યા છે. ભારતમાં 24 દર્દીઓ નોંધાયા છે. વિદેશમા રહેનારા ભારતીયો પણ સંક્રમિત જોવા મળ્યા છે. વાયરસ ફેલાવવાના ડરને લઈને સડકથી લઈને સોશ્યિલ મીડિયા એલર્ટ છે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હોળી મિલન કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ રાષ્ટ્રપતિ ભવનમાં પારંપરિક ઉજવણી કરવાની મનાઈ કરી છે.