વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરપંચ, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ચૂંટાઈ આવતા પ્રતિનિધીઓને વેતન મળે તે માટે સરકારને રજૂઆત કરી છે.
કોઈપણ સરપંચને સરકાર પગાર નથી આપતીઃ મધુ શ્રીવાસ્તવ
વેતન નહીં મળવાથી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થાય છેઃ મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવે આ મુદ્દે વિધાનસભમાં પણ રજૂઆત કરવાની ખાતરી આપી છે
વડોદરાના વાઘોડીયા વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બે દિવસ અગાઉ મોટું નિવેદન કરી સરકાર સમક્ષ માગણી કરી હતી કે, સરપંચ અને તાલુકા-જીલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધીઓને વેતન આપવું જોઈએ. આ અગાઉ પણ મધુ શ્રી વાસ્તવ પોતાના 'તેવર'દર્શાવી ચુક્યા છે. પછી તે વય મર્યાદાના કારણે ટિકિટ ના મળવાનો મુદ્દો હોય કે પછી કલેકટર, કમિશનર વિસ્તારના કામ પર દાદ ના દેતા હોવાની રાવ હોય. શ્રી વાસ્તવે હંમેશા તાતા-તીર જ છોડ્યા છે. ત્યારે હવે શ્રીવાસ્તવે ગાંધીનગર રજૂઆત કરી છે.
વેતન નહીં મળવાથી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થાય છેઃ મધુ શ્રીવાસ્તવ
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં પંચાયતના સદસ્યોને માનદ વેતન આપવા માંગ કરી છે. જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના સદસ્યોને વેતન આપવા માંગ કરી છે. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, મોટાભાગના સદસ્યોની આર્થિક સ્થિતિ નબળી હોય છે. વેતન નહીં મળવાથી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થાય છે. તમામ તાલુકા, જિલ્લા અને ગ્રામ પંચાયતોના સદસ્યો અને સરપંચોને ઉચ્ચક પગાર મળે તો ભ્રષ્ટાચાર અટકાવી શકાય.
સરપંચ, તાલુકા કે જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને વેતન મળવું જોઈએઃ મધુ શ્રીવાસ્તવ
થોડા દિવસ અગાઉ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટાયેલા સરપંચ કે તાલુકા-જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધીઓને વેતન મળવું જોઈએ. રાજ્ય સરકાર કોઈ પણ સરપંચને સરકાર પગાર નથી આપતી. તેમ કહી વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે,આવા તમામ પ્રતિનિધીઓને વેતન આપવાની માંગ કરી છે. તેમને ઉમેર્યું કે, આ યોગ્ય નથી અને આવા પ્રતિનિધીઓને માસિક વેતન મળવું જોઈએ. આ મુદ્દે હું ગાંઘીનગર વિધાન સભામાં રજૂઆત કરીશ કે ચૂંટાયેલા સરપંચ અને સભ્યોને વેતન મળવું જ જોઈએ. ત્યારે હવે તેમણે ગાંધીનગર રજૂઆત કરી દીધી છે.