કોંગ્રેસના સભ્યો મનપામાં 96 ઢોર ગૂમ થવા મામલે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા ત્યારે ત્યાં કમિશનર હાજર નહતા ત્યારે વિપક્ષે મેયરને આ આવેદનપત્ર સ્વીકારે તેવી રજૂઆત કરી હતી. આ મામલે કમિશનરની ગેરહાજરીમાં ડે.કમિશનરને આવેદનપત્ર સ્વીકારવાની મેયરની વાત ડે. કમિશનરે કાને જ નહોતી ધરી ત્યારે પ્રશ્ન ઉઠી રહ્યા છે કે, શું સત્તાપક્ષ અને અધિકારીઓ વચ્ચેની તુ તુ મેં મેં હવે છડેચોક બાહર આવી રહી છે?
વિપક્ષના આવેદનને ડેપ્યુટી કમિશનરે ન સ્વીકારતા હોબાળો
બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિપક્ષે તપાસની કરી હતી માગ
વિપક્ષે મેયર બિજલ પટેલને આવેદન સ્વીકારવાની કરી હતી માગ
બિજલ પટેલે અનેક વખત DyMcને કહ્યા બાદ પણ ન સ્વીકારાયું આવેદનપત્ર
AMCના ડેપ્યુટી કમિશનર આર્જવ શાહ દ્વારા કોંગ્રેસના સભ્યોનો આવેદન પત્ર ન સ્વીકારવામાં આવતા વિવાદ થયો છે. ત્યારે હવે આ મામલે મેયર બિજલ પટેલે પ્રતિક્રિયા આપી છે કે, મેયર અને કમિશનર વચ્ચે ક્યારે પણ વર્સીસ હોતુ નથી. બન્ને વચ્ચે માત્ર સ્પોર્ટસ દિવસે ક્રિકટ મેચમાંજ વર્સીસ હોય છે.
શું કહે છે મેયર?
કોંગ્રેસના સભ્યો રજૂઆત કરવા પહોંચ્યા હતા. કમિશનર અન્ય મિટિંગમાં હાજર ન હોવાથી ડેપ્યુટી કમિશનરને આવેદન સ્વીકારવા માટે સૂચના આપી હતી. અનેક વખત સૂચના આપ્યા બાદ પણ ડેપ્યુટી કમિશનરે આવેદન પત્ર સ્વીકાર્યુ ન હતું. આ મામલે નારાજગી પણ દર્શાવી છે. આ મામલે મોવડી મંડળ સાથે ચર્ચા કરીને જરૂર લાગશે તો તેમની સામે પગલા લેવાશે.
શું હતી બબાલ?
મહત્વનું છે કે, ઢોરવાડામાંથી 96 ઢોર ગુમ થવા મામલે કોંગ્રેસના સભ્યો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. AMC કમિશનર ન હોવાથી સભ્યોએ ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી. જોકે આ મામલે આર્જવ શાહે આવેદન પત્ર સ્વીકાર્યુ ન હતુ. આ મામલે વિપક્ષના સભ્યોએ મેયરને રજૂઆત કરી હતી. મેયરે ડેપ્યુટી કમિશનરને અનેક વખત સૂચના આપ્યા બાદ પણ આર્જવ શાહે આવેદન સ્વીકાર્યું ન હતુ.