પ.બંગાળમાં થોડા મહિનાઓ બાદ વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે રાજ્યમાં રાજકારણમાં ગરમાગરમી જોવા મળી રહી છે, મમતા બેનર્જીની પાર્ટીના નેતાએ ભાજપ ખૂબ ગંભીર આરોપ લગાવ્યો છે.
પ.બંગાળમાં ભાજપના પ્રચાર બાદ રાજકારણ ગરમાયું
મમતા બેનર્જીની હત્યા કરાવી શકે છે ભાજપ : તૃણમુલ કોંગ્રેસ નેતા
આ નિવેદનબાજી લોકોની સહાનુભૂતિ મેળવવા કરાઈ રહી છે : ભાજપ
શું લગાવ્યો આરોપ
પ.બંગાળ સરકારના મંત્રી અને તૃણમુલ કોંગ્રેસના દિગ્ગજ નેતા સુબ્રત મુખર્જીએ ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે જો આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતી ન શકે તો તે ગુપ્ત રીતે મમતા બેનર્જીની હત્યા કરાવી શકે છે. એક જનસભામાં આ મંત્રી બોલી રહ્યા હતા અને તેમણે કહ્યું કે 'જો મમતા બેનર્જી વિરુદ્ધ ભાજપ જીતશે નહીં તો તે પોતાના લોકોને ગુપ્ત રીતે મોકલીને તેમની હત્યા પણ કરાવી શકે છે.
ભાજપે આપ્યો જવાબ
ટીએમસીના આ આરોપ બાદ આખા પ.બંગાળમાં ચકચાર મચી ગઈ છે જે બાદ રાજકારણ પણ ગરમાયું છે. ભાજપના પ્રદેશ પ્રમુખે આ મામલે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારને જનતાનો કોઈ સાથ મળી રહ્યો નથી જે બાદ સહાનુભૂતિ લેવા માટે તેના નેતાઓ આવા નિવેદનો આપી રહ્યા છે. દિલીપ ઘોષે વધુમાં કહ્યું કે મમતા બેનર્જી અચાનક જ જેલ જવાની વાતો કેમ કરી રહી છે ? કારણ કે તેમને જાણ છે કે આગામી ચૂંટણી બાદ તે જેલ જઈ શકે છે. તે કહી રહી છે કે કેટલાક લોકો તેમની હત્યા કરાવી દેશે, પણ આવો અપરાધ કોઈ કેમ કરશે ? લોકોના મત અને સહાનૂભૂતિ મેળવવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે.
જેપી નડ્ડાના કાફલા પર હુમલા બાદ રાજકારણ તેજ
નોંધનીય છે કે હાલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા બંગાળના પ્રવાસ પર ગયા હતા અને તે દરમિયાન તેમના કાફલા પર પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. ભાજપના અનેક નેતાઓની ગાડીઓમાં તોડફોડ પણ કરવામાં આવી હતી જે બાદથી આ રાજ્યમાં રાજકારણ ખૂબ ગરમાયું છે. આ ઘટના બાદ ગૃહમંત્રાલય પણ એક્શનમાં દેખાઈ રહયું છે.